બીજો ડોઝ લીધાની તારીખથી ૯ મહિના પૂરાં થયા હોય તેવા સિનિયર સિટીઝન શ્રેણીના લોકો તકેદારી ડોઝ લેવાને પાત્ર…..
જિલ્લામાં ૧૪૦ કેન્દ્રો ખાતે પ્રિકોશન ડોઝ આપવાની વ્યવસ્થા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી છે…
વડોદરા વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રે જરૂરી તાલીમ અને વ્યવસ્થાઓ સાથે કોરોના રસીનો ત્રીજો તકેદારી (પ્રિકોશન ડોઝ) ડોઝ વિવિધ શ્રેણીઓમાં લાભને પાત્ર લોકોને આપવાની પૂર્વ તૈયારીઓ કરી લીધી છે. સોમવારથી આ ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન અને રાજ્ય સરકારની ગાઈડ લાઇન પ્રમાણે આરોગ્ય તંત્ર ત્રીજા ડોઝની રસી આપવા માટે સજ્જ છે તેવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે, કોવીન પોર્ટલમાં ઉપલબ્ધ જાણકારી અનુસાર જિલ્લામાં ઉપરોક્ત ત્રણ શ્રેણીઓના કુલ ૩૦,૭૨૬ લોકોને આ ત્રીજો રક્ષણાત્મક ડોઝ આપવાનો થાય છે.હેલ્થ કેર વર્કર,ફ્રન્ટ લાઇન વર્કર અને તબીબી સલાહને આધારે જેઓ હૃદય રોગ,કિડનીનો રોગ સહિત ચોક્કસ કો મોર્બીડીટી ધરાવે છે અને બીજી રસી લીધાની તારીખથી ૯ મહિનાનો સમય પૂરો થઈ ગયો છે તેવા ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોને આ ડોઝ આપવામાં આવશે.
જેમણે પહેલા બે ડોઝમાં કોવેક્સિન લીધી છે તેમને કોવેક્સિન અને કોવિશિલ્ડ લીધી છે તેમને કોવીશિલ્ડ ત્રીજા ડોઝ તરીકે આપવામાં આવશે.શ્રેણીવાર જોઈએ તો જિલ્લામાં ૬૦ + માં ૧૧,૯૧૩ લોકો પ્રિકોષન ડોઝ ને પાત્ર છે જે પૈકી ૦૭ લોકો કોવેક્સિન અને ૧૧,૯૦૬ કોવિશીલ્ડ લેવાને પાત્ર છે.જ્યારે ૯,૧૮૭ ફ્રન્ટ લાઇન વર્કર પૈકી ૫,૨૯૧ કોવેક્સિન અને ૩૮૯૬ કોવિષિલ્ડ ને પાત્ર છે. ૯૬૨૬ હેલ્થ કેર વર્કર પૈકી ૨૨૮ કોવેકસિન અને ૯,૧૩૮ કોવિશિલ્ડ લેવાને પાત્ર છે.આમ,કુલ ત્રીજા ડોઝને યોગ્ય લોકો પૈકી ૫,૫૨૬ને કોવેક્ષીન અને ૨૫,૫૦૦ને કોવીશિલ્ડ રસી મૂકવામાં આવશે.તેના માટે કોઈ નવી નોંધણી કરાવવાની જરૂર નથી.૬૦ + વડીલોએ રસીકરણ કેન્દ્ર ખાતે પોતાની કો મોરબીડિટીની સાચી જાણકારી આપવાની છે.તેઓ સાથે પોતાનું આધારકાર્ડ લઈ જાય તે યોગ્ય રહેશે.
સરકારીદવાખાનાઓ ખાતે રસી આપવાની કામગીરી થશે.તેના માટે સરકારી દવાખાનાઓમાં ૧૪૦ રસીકરણ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે અને જરૂર પડે કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવશે.ડો.જૈને જણાવ્યું કે આરોગ્ય વિભાગના કાર્યકારી અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ કુમારે રવિવારે મ્યુનિસીપલ કમિશનરશ્રી,જિલ્લા કલેકટરશ્રી તેમજ શહેર અને જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજીને કોવિડ વિષયક પરિસ્થિતિની સમીક્ષા કરવાની સાથે ધન્વંતરિ રથોની કામગીરી સઘન બનાવવા,સંજીવની ટીમો દ્વારા ઘર સારવાર હેઠળના લોકોની સાર સંભાળ લેવા સહિત માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.




