મહીસાગર જિલ્લાના હડમતીયા ગામના શૈલેષભાઇ પટેલે પ્રાકૃતિક કૃષિનું પંચસ્તરીય મોડલ અપનાવી૧૫ ગુંઠા જમીનમાં વધુ આવક મેળવી સ્વાસ્થ્ય વર્ધક ખેત ઉત્પાદનો સાથે આર્થિક સમૃધ્ધિના દ્વાર ખોલ્યા
આત્મનિર્ભર ખેતી-આત્મનિર્ભર ખેડૂત – આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પ્રાકૃતિક ખેતી થકી જ સાકાર થશે
પ્રાકૃતિક ખેતીના ખેત ઉત્પાદનોનુ મૂલ્યવર્ધન કરી ખેડૂતોને શૈલેષભાઇએ નવો રાહ ચિંધ્યો
લુણાવાડાઃભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોને આહ્વાન કર્યું છે કે આત્મનિર્ભર ખેતી-આત્મનિર્ભર ખેડૂત થકી જ આત્મનિર્ભર ભારતના સંકલ્પને પૂર્ણ કરી શકાશે. અને ભારતના ખેડૂતને સમૃદ્ધ બનાવવાનું આ સપનું પ્રાકૃતિક ખેતી થકી જ સાકાર થશે.ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી પદ્ધતિ છે. તેનાથી અનેક ખેડૂતોને ફાયદો થયો છે. ખેતીની ઉપજ પણ વધી છે. રાજ્ય સરકારના પ્રાકૃતિક કૃષિ અંગેના દેશી ગાય આધારીત ખેતીના પ્રયાસો થકી ગુજરાતમાં પણ બે લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને અપનાવી છે. પ્રાકૃતિક ખેતીની તાલીમ અને માર્ગદર્શન માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં તજજ્ઞોની ટીમ પણ આ દિશામાં પ્રયત્નશીલ છે અને ખેડૂતોને તાલીમબદ્ધ કરી રહ્યા છે. જેમાંમહીસાગર જિલ્લાના ખેડૂતો પણ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળામાં જોડાઇ તાલીમ બધ્ધ થઇ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આવા જ એક હડમતીયા ગામના શૈલેષભાઇ પટેલે પ્રાકૃતિક કૃષિનું પંચસ્તરીય મોડલ અપનાવી ઓછી જમીનમાં વધુ આવક મેળવી સ્વાસ્થ્ય વર્ધક ખેત ઉત્પાદનો સાથે આર્થિક સમૃધ્ધિના દ્વાર ખોલ્યા છે.
પ્રાકૃતિક કૃષિકાર તરીકે સફળતા તરફ પ્રગતિ કરતા લુણાવાડા તાલુકાના હડમતીયા ગામના શૈલેષભાઈ હીરાભાઈ પટેલપોતાની પ્રાકૃતિક ખેતી અંગે જણાવે છે કે, તેઓ સુભાષ પાલેકર પધ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરે છે. જેમાં તેમણે પોતાનું આગવુ પંચસ્તરીય મોડલ વિકસાવીને ૧૫ ગુંઠામાં પાંચ પ્રકારની ખેતી કરી છે. જેમાં સિઝનમાં પ્રથમ આદુની ખેતી કરેલ છે આદુની સાથે ૩૦૦૦ મરચીના રોપા નું વાવેતર કરેલ જેમાંથી૧૫૦ કિલો સુકા મરચાનું ઉત્પાદન મેળવેલ છે જેનો ભાવ ૩૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ કરતા ૪૫૦૦૦ રૂપિયાની આવક થઇ છે. આ ઉપરાંત તેમાં જ સાથે ભીંડાનું વાવેતર કર્યુ હતુ. જેમાં આઠ હજાર રૂપિયા ભીંડાનું વેચાણ કરેલ છે સાથે સાથે તુવેરનું પણ વાવેતર છે અને તેમાં પણ સારી આવક પ્રાપ્ત થઇ છે. આદુની ખેતીમાં હવે પાક તૈયાર થઇ ગયેલ છે તેનું પણ મૂલ્યવર્ધન કરીને સુંઠ બનાવીને જેનો ભાવ પ્રતિ કિલોના પાંચસો રૂપિયા લેખે મળશે. સ્વાસ્થ્ય વર્ધક પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનને ખરીદ કરતા લોકોએ અગાઉથી સુંઠ ખરીદીની નોધણી કરાવી છે. તેની પણ મને સારી આવક મળશે તેવો વિશ્વાસ છે. આ ઉપરાંત તેઓએ અન્ય ખેતરમાં લાલ લસણની પ્રાકૃતિક ખેત પધ્ધતિથી ખેતી કરેલ છે. તેમની લસણની ખેતીમાં પણ સારી ઉપજની સંભાવના જણાઇ રહી છે ત્યારે તેઓ જણાવે છે કે, આ વિસ્તારમાં લસણનું સારૂ ઉત્પાદન મળતુ નથી પણજીવામૃતના ઉપયોગ થકી આ સફળતા મળી છે.
શૈલેષભાઇ અને તેમના કુદરતી ખેતી સાથે જોડાયેલા મિત્રો ગુજરાતના રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજીજે આ ખેતીના જાતે પ્રયોગો કરવાની સાથે પ્રખર હિમાયતી અને પ્રચારક છે,તેમના પ્રત્યે ખૂબ ઊંડો આદર ધરાવે છે.રાજ્યપાલશ્રી એ તેમને પ્રોત્સાહક માર્ગદર્શન પણ આપ્યું છે. શૈલેષભાઇએ સુશાસન સપ્તાહની ઉજવણી પ્રસંગે મહીસાગર જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. તેઓ કહે છે કે મારા ખેતરના કુદરતી પાકોમાં થી મારી ગાયોને આહાર મળે છે અને મારી ગાયોનું છાણ અને ગૌમૂત્ર મારી ખેતીને પુષ્ટિ આપે છે.તેઓ પ્રાકૃતિક ખેતી સાથે ગૌ પાલનની હિમાયત કરે છે.
પ્રાકૃતિક ખેતી ખેતરના શેઢા પાળે ઉપલબ્ધ વનસ્પતિઓ અને ગૌ દ્રવ્યો થી થાય છે.આ આત્મ નિર્ભર ખેતીને રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરે છે. ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી અને ગૌવંશ ઉછેરને પ્રોત્સાહિત કરતી જે નીતિ બનાવી છે,તે આવકાર્ય છે. આત્મા અને અન્ય સંસ્થાઓનું માર્ગદર્શન લઈ, સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતીની તાલીમ લઈ અને ગાયને પાળી, સરકારની પ્રોત્સાહક યોજનાઓ નો લાભ લઇ આ ખેતી કરનારાને નિરાશ નહિ થવું પડે તેમ તેઓ જણાવે છે.
કુદરત સંપૂર્ણ છે.તેમાં કોઈ તત્વની ઉણપ નથી કે કોઈ તત્વનું અતિશય પ્રમાણ નથી.પ્રકૃતિની આ સમતુલા પ્રાકૃતિક ખેતીનો પ્રાણ છે અને એટલે આ ખેતીના ઉત્પાદનો સત્વશીલ અને સંપોષક,આરોગ્ય રક્ષક અને વર્ધક છે.



