



સેવા યજ્ઞ સમિતિમાં ઘરવિહોણા દર્દીઓની મુલાકાત લઈ મંત્રીશ્રીએ સાંત્વના પાઠવી
અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું માંડવા ગામની કુમાર શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિકાસ અને ગૃહ નિર્માણ કેબીનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. સેવા સેતુમાં વહીવટીતંત્રના 13 વિભાગોની 56 જેટલી સેવાઓને આવરી લેવામાં આવી હતી. રાજ્યનાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતો ઝડપથી ઉકેલાય તે હેતુથી તેમજ છેવાડાનો કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ના રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આયુષ્યમાન ભારત કાર્ડ માટે લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સીન સહીત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મંત્રી શ્રી અર્જુનસિહ ચૌહાણએ ભરૂચ જિલ્લાનાં અંદાડા ગામની મુલાકાત લીધી હતી. આ વિસ્તારનાં ગંગા સ્વરુપા બહેનો, વૃધ્ધ પેન્શન, સખી મંડળ, આયુષ્માન કાર્ડથી લીધેલ લાભાર્થી બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. તથા સરકારશ્રીની યોજનાઓનો લાભ વધુ લોકો સુધી વ્યાપ વધે તેમ જણાવ્યું હતું.ત્યારબાદ નર્મદા મૈયા બ્રીજ પરથી મા નર્મદાના અલૌકીક દર્શન કર્યા હતા. આ ઉપરાંત ભરૂચ સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓની સેવા-સુશ્રુષા અંગે પૃચ્છા કરી હતી. આ ઉપરાંત હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ સેવા યજ્ઞ સમિતિમાં ઘરવિહોણા દર્દીઓની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અરવિંદ પટેલ ,જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ભરત પટેલ,નાયબ કલેકટર શ્રીમતિ નૈતિકાબેન પટેલ, મામલતદાર શ્રી કરણસિંહ રાજપૂત સહીત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
