‘‘ ડિજિટલ સેવા સેતુથી વહીવટી પ્રક્રિયાનુ સરળીકરણ શક્ય બન્યું છે ’’ -શ્રીમતી વિભાવરીબેન દવે, શિક્ષણમંત્રી (રાજ્યકક્ષા)
જીલ્લાના ૩૦૯ ગામમાં ‘ડિજિટલ સેવા સેતુ’નો શુભારંભ
મુખ્યમંત્રીશ્રીએ આજથી ડિજિટલ સેવા સેતુનો પ્રથમ તબક્કાનો શુભારંભ કરાવ્યો હતો. જેનો લાભ અમદાવાદ જીલ્લાના ૩૦૯ ગામનાં લોકોને મળશે.
“સેવા સેતુ કામગીરી જયારથી શરુ થઈ ત્યારથી જ ગ્રામીણ પ્રજાને રોજબરોજની સેવાઓ ઘરેબેઠા મળી રહી છે. તેનો ઉલ્લેખ કરતાં મંત્રી શ્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે સમયોચિત વ્યવસ્થાના ભાગરૂપે હવેથી આ સેવા ડિજિટલ સ્વરૂપમાં કાર્યરત બનાવવામાં આવી રહી છે. ડિજીટલ ક્રાંતિનો લાભ અમદાવાદ જિલ્લાના 309 ગામડાઓને થશે. પહેલા જે સરકારી વહીવટી સેવાઓના કામ માટે જીલ્લા અને તાલુકા મથકોએ જવું પડતું હતું તે કામ હવે ગ્રામ પંચાયતમા જ ખુબ ઓછા સમયમાં ડિજીટલ માધ્યમથી થઈ જશે, જેનાથી ગામડાંના લોકોનો સમય અને નાણાંની મહત્તમ બચત થશે.”
“પ્રધાનમંત્રીશ્રીનું ‘ડિજીટલ ઇન્ડિયા’ બનાવવાનું સ્વપ્ન સાકાર કરવામા ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે તેમ જણાવતાં મંત્રીશ્રી એ વધુમા કહ્યું હતું કે : ” શહેરો સાથે સાથે ગામડાઓનો વિકાસ કરવો એ રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે અને એ દિશામાં તીવ્ર ગતિએ ગુજરાત આગળ વધી રહ્યું છે.”
મોરૈયા ગ્રામ પંચાયત ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ કહ્યું કે, ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ થકી ગામડાઓ સુધી પહોંચતા લોકોની સુવિધામાં ઘણુ પરિવર્તન આવશે.આ ડિજિટલ ક્રાંતિથી કચેરીઓમાં રુબરુ જવામાંથી મુક્તિ મળશે. તેમણે ઉમેર્યું હતું કે, રર જેટલી ખુબ અગત્યની સેવાઓ માટે હવે ગામડાના એક પણ નાગરિકે તાલુકા કે જીલ્લા સુધી આવવું નહી પડે.જરુરી દાખલાઓ અને દસ્તાવેજ ઘર આંગણે સરળતાથી ઉપલબ્ધ બનશે”
સ્વાગત પ્રવચનમાં અમદાવાદ જિલ્લામાં ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમની વિગતો આપતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે કે ’’ ૨૨ જેટલા કામોની સેવાઓ ઘરઆંગણે જ મળી રહેવાથી હવે નાગરિકોને તાલુકા કે જિલ્લા સુધી જવાનું કષ્ટ પણ નહીં વેઠવું પડે .અને હવે નોટરી જેવુ અગત્યનું કાર્ય ગ્રામ પંચાયતના તલાટી મંત્રી દ્વારા થવાથી લોકોના સમય અને નાણાંની બચત થશે. અને સરવાળે તેની સુખાકારીમાં વધારો થશે.’’
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં બાવળા તાલુકાના ૩૫, દસક્રોઈ તાલુકાના ૫૦, દેત્રોજ-રામપુરા તાલુકાનું- ૧, ધંધુકા તાલુકાના ૨૯ , ધોલેરા તાલુકાના ૧૬ , ધોળકા તાલુકાના ૬૧, માંડલ તાલુકાના ૩૧, સાણંદ તાલુકાના ૫૨ અને વિરમગામ તાલુકાના ૩૪ ગામડાઓને આ સેવાનો લાભ મળવાપાત્ર થશે.




