ગ્રામીણ ક્ષેત્રે પાકા રસ્તા, જળસંચય અને સમૃદ્ધ કૃષિ વડે ખેડૂતની આવક બમણી કરવાની સરકારની નેમ છે – કૃષિમંત્રીશ્રી રાઘવજી પટેલ





જામનગર રૂરલ અહેવાલ તસવીર…..શક્તિ ધોળકીયા
કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ તાલુકાના ખારવા-હમાપર-જાળીયા દેવાણી રોડના 12.96 કિલોમીટર લાંબા રોડના વાઇડનિંગ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ રોડની વાઈડનીંગની કામગીરી કરવા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા રૂ.6.60 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ રોડના કામમાં રસ્તાની પહોળાઈ સાથે જંગલ કટીંગ, મેટલ કામ, ડામર કામ, નાલા પુલિયા રિપેર તથા નવા બનાવવા, સાઈડ શોલ્ડરમાં માટી કામ, પ્રોટેકટીવ હોલ તથા રોડ ફર્નિશિંગ સહિતના કામોને પણ આવરી લેવામાં આવશે.
આ પ્રસંગે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના તમામ ગ્રામ્ય રસ્તાને નજીકના મુખ્ય મથક સાથે જોડવાનો સરકારનો દ્રષ્ટિકોણ રહ્યો છે. પાકા રસ્તા, સમૃદ્ધ કૃષિ અને જળસંચય એ સરકારની નેમ છે. ગ્રામીણ વિસ્તારના તમામ પ્રકારના પ્રશ્નોને સમજી રાજ્ય સરકાર તેના ત્વરિત નિરાકરણ માટે હર હંમેશ તત્પર છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે જણસના ટેકાના ભાવની પડતર કિંમતમાં 50% નો વધારો કરી તેમજ ખાતર પર સબસીડી જાહેર કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતની આવક બમણી કરવાની દિશામાં વિશેષ પહેલ કરી છે. પુર, હોનારત, અતિવૃષ્ટિ જેવા સંજોગોમાં પણ સરકારે હર હંમેશ ખેડૂતોની પડખે ઊભા રહી ખેડૂતોને આર્થિક નુકસાનીમાંથી ઉગાડવાનું ઉમદા કામ કર્યું છે.
