
વિવિધ આભૂષણોથી ભગવાન શામળીયાને શણગાર કરવામાં આવ્યો
ધાર્મિક ભટ્ટ અરવલ્લી
અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સોનાનો મુગટ, વિવિધ આભૂષણો થી સુસજ્જ કરવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લાનું સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી આવ્યું હતું. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. સમી સાંજે કાળીયા ઠાકરની ભવ્ય આરતીમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો. મંદિરના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા કોઈ પણ મુશ્કેલી વિના ભક્તો દર્શનનો લાભ લે તે માટે સીધી દેખરેખ રાખવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીના તથા વહીવટી તંત્ર દ્વારા તેમજ અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત અને શામળાજી પોલીસ તંત્રની હાજરીમાં મોડી રાત્રે સંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મટકી ફોડ પણ યોજાઈ હતી. આમ, પવિત્ર યાત્રાધામ શામળાજી કાળિયા ઠાકરના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
