



નાંદોદ તાલુકાના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે પોષણ માહ અંતર્ગત યોજાયો કાર્યક્રમ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં તા.૧૭ મી સપ્ટેમ્બરને શનિવારના રોજ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વાવડી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના અધ્યક્ષસ્થાને પોષણ માહ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ઉક્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ બાળઓને શારિરીક સ્વાસ્થ્યની જાળવણી કેટલી અનિવાર્ય છે તેને અનુલક્ષીને વિસ્તૃતમાં સમજપુરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે, સારા શિક્ષણ અને તંદુરસ્ત રહેવા માટે પોષણ અને સ્વચ્છતા પણ એટલાં જ જરૂરી છે. વધુમાં તેમને જણાવ્યું કે, ગામડામાં ઘરના વાડામાં ઉગાડેલી શાકભાજી જે ખાતર વગરની હોય છે તેનો રોજ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો કુપોષણ દૂર કરી શકાય છે. ગામડાઓમાં સ્થાનિક કક્ષાએ મળી આવતાં શાકભાજી, ફળ વિશેના ફાયદા અંગે વિસ્તૃત સમજ પૂરી પાડતાં સંકલીત બાળ-વિકાસ અધિકારી શ્રીમતી હેમાંગીનીબેન ચૌધરીએ સરગવામાંથી મળતા કેલ્શિયમ, આયર્ન વિટામીન-A તેના ઉપયોગથી લોહી શુધ્ધ રહે છે અને હાંડકાને મજબૂત કરે છે, તેમજ ધાત્રીમાતા હોય તો ઘાવણ વધુ લાવવામાં પણ તે ઉપયોગી બને છે. સરગવામાંથી બનતી પૌષ્ટિક શાકભાજી વિશે પણ તેઓશ્રીએ વિસ્તૃતમાં સમજ આપી હતી. વધુમાં તેમણે બાળાઓને તંદુરસ્ત રહેવા માટે લીલાં શાકભાજી અને ફણગાવેલા કઠોળનો ઉપયોગ કરવા માટે ભારપૂર્વક આગ્રહ કર્યો હતો. આ સાથે શરીરની આંતરિક સ્વચ્છતા અને પોષણચક્ર અંગેની સમજ પણ તેમણે આપી હતીઆ કાર્યક્રમમાં જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી ભાઇલાલભાઇ પરમાર તેમજ સભ્યશ્રીઓ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ચેતનભાઇ પરમાર, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના સુપ્રિટેન્ડેન્ટશ્રી ભૂમિત પરમાર, કર્મચારીઓ અને બાળાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
