






સંજય ચુડગરબ્યુરોચીફ તાપી
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બોરદા ગામ ખાતે રૂા.૨ કરોડના ખર્ચે વનબંધુ હાટ બજારનું નિર્માણ ચાલી રહ્યું છે. ત્યારે રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર,ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ આ હાટબજારની સૌપ્રથમ મુલાકાત લીધી હતી.આ પ્રસંગે કલેકટરસુશ્રી ભાર્ગવી દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા,પ્રાયોજના વહીવટદાર સુશ્રી અંકિતા પરમાર સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આદિજાતિ વિસ્તારની કાયાપલટ માટે રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં વર્ષોથી ગ્રામહાટ ભરાય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીના માળખાને મજબૂત બનાવવાની દિર્ધ દ્રષ્ટિ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાખીને આ વનબંધુ હાટબજાર આપ્યું છે. એમ આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ આજે તેની મુલાકાત વેળાએ જણાવ્યું હતું. વધુમાં હાટ બજારને કારણે દુકાનદારોની સુવિધામાં વધારો થયો છે. અહીંના ખેડૂતોને પણ સ્થાનિક બજારની સુવિધાથી ફાયદો થશે. આવનારા પાંચ વર્ષમાં એલ.આઈ.મારફતે સિંચાઈની સુવિધા મળશે. ખેતીની ઉપજને આ બજારમાં વેચી શકશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા હજુપણ ગામડાઓમાં અનેક વિકાસના કામો કરવાના છે. આધુનિક સ્ટ્રકચર સાથે વિકાસ કરાશે. તાપી જિલ્લામાં સૈનિક સ્કુલની પણ મંજૂરી મળી ગઈ છે. આ વિસ્તારના જંગલ-જમીનના દાવાની અરજીઓનો પણ નિકાલ કરવાની કટીબધ્ધતા મંત્રીશ્રી હળપતિએ વ્યક્ત કરી હતી.
કલેકટર સુશ્રી ભાર્ગવી દવેએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રાસરૂટ લેવલ પર બધા જ મુદૃાઓને આવરી લઈ વિકાસની ખૂટતી કડીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરાશે.આર્થિક ઉત્થાન કરીને શ્રેષ્ઠ ગામ,શ્રેષ્ઠ રાજ્ય અને શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે તંત્ર સુસજ્જ છે.
બોરદા ખાતેના હાટબજારને મંત્રીશ્રી હળપતિએ બિરસા મુંડા હાટ બજારનું નામ આપી આદિજાતિ લોકોના દિલ જીતી લીધા હતા. દર શનિવારે ભરાતા આ હાટબજારમાં ૧૦ થી વધુ ગામોના લોકો આવે છે. અને ૪૦૦ થી વધુ વેપારીઓ પોતાનો સ્ટોલ લગાવી રોજગારી મેળવશે. માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર તરૂણ ચૌધરીએ જણાવ્યું હતું કે કુલ- ૨૪૦૦ ચો.મી.માં ફેલાયેલા આ હાટ બજારમાં મોટી દુકાનો ૬૧,નાની દુકાનો ૧૪૪ આવેલી છે. ઓકટોબર-૨૦૨૩ સુધીમાં નિર્માણકાર્ય પૂર્ણ થશે.
શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતિ સરિતાબેન વસાવાએ મંત્રીશ્રી સહિત મહાનુભાવોને આવકારી ખુશી વ્યક્ત કરી હતી. આ વિસ્તારના બોરદા,પાઘડધુવા,સાતકાશી,બુધવાડાના ગ્રામજનોએ ઉત્સાહભેર મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિને આવકાર્યા હતા. સૌપ્રથમવાર મંત્રી તરીકે તેમની મુલાકાતને પારંપરિક રીતે વધાવી લીધી હતી.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મદદનીશ કમિશ્નરશ્રી નિતિષ એસ.કુમાર, જિલ્લા/ તાલુકા પદાધિકારીશ્રીઓ, મહિલા મોર્ચાના કૈલાશબેન, બોરદા સરપંચ શ્રીમતિ ગંગાબહેન,ફતેપુર સરપંચ કુંદનભાઈ,બાવલી સરપંચ રૂસ્તમભાઈ,લીંબી સરપંચ,વેચ્યાભાઈ,રામસીંગભાઈ, જેમિનભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપિસ્થત રહ્યા હતા.

