માર્ગ સલામતી સાથે અકસ્માત નિવારણ માટે દરેક નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સ્વયંભૂ જાગૃત થવા હિમાયત કરતા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા

શૈશવ રાવ રાજપીપળા


ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય નવી દિલ્હી દ્વારા પ્રતિ વર્ષ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૩૩ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો નર્મદા જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની ઉપસ્થિતિમાં રાજપીપલા સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી-નર્મદા અને પોલીસ અધિક્ષકશ્રીની કચેરી-રાજપીપલા દ્વારા સમગ્ર જિલ્લામાં તા.૧૧ મીથી ૧૭મી જાન્યુઆરી દરમિયાન માર્ગ સલામતી સપ્તાહ-૨૦૨૩ ની ઉજવણી અંતર્ગત જિલ્લાની વિવિધ શાળા-કોલેજોમાં અનેક જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. માર્ગ સલામતી સપ્તાહના ઉદઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ જણાવ્યું કે, માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી તો માત્ર પ્રતિકાત્મક છે પરંતુ આપણે આખું વર્ષ સલામતી રાખવાની છે. નર્મદા જિલ્લામાં મે જે નિરિક્ષણ કર્યું છે તેમાં ખાસ કરીને યુવા વર્ગ ખૂબ જ ઝડપથી વાહનો ચલાવતા દેખાય છે. માર્ગ અકસ્માતો થવાના કારણે યુવા વર્ગને સૌથી વધુ નુકશાન થઈ રહ્યું છે જે માત્ર એક વ્યક્તિને જ નહીં પણ તેના સમગ્ર પરિવારને નુકશાન થાય છે. વધુમાં તેઓશ્રીએ ઉમેર્યું કે, જ્યારે પણ આપણે પોતાના ઘરેથી વાહન લઈને નીકળીએ છીએ ત્યારે સુરક્ષાની અવશ્ય કાળજી રાખવી જોઈએ. જો બાઈક ચલાવતા હોય તો હેલ્મેટ પહેરવું સુરક્ષા માટે અતિ આવશ્યક રહે છે. જ્યારે કારમાં મુસાફરી કરતા હોય તો તેવા સંજોગોમાં માત્ર ડ્રાયવર નહીં પરંતુ કારમાં સવાર અને પાછળની સીટ ઉપર બેઠેલાં લોકોએ પણ સીટ બેલ્ટ બાંધવો ખૂબજ જરૂરી હોય છે. જેને હવે આપણે આદત બનાવવી પડશે. આપણે સ્વયંભૂ જાગૃત થઈશું તો ધીમે ધીમે આસપાસના લોકોને પણ તેની આદત પડતી જશે તોજ સાચા અર્થમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી સાર્થક થશે તેમ જિલ્લા કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું. આ કાર્યક્રમમાં મોટર વાહન નિરીક્ષકશ્રી વી.ડી.અસલ અને જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શ્રી એમ.બી.ચૌહાણે ટ્રાફિકના નિયમો, માર્ગ અકસ્માતોના કારણો, માર્ગ અકસ્માતોને નિવારવાની બાબતો ઉપર પ્રકાશ પાડ્યો હતો. સાથે જિલ્લામાં ઉતકૃષ્ટ કામગીરી કરનારા ટ્રાફિક પોલીસ અને ૧૦૮ ના કર્મીઓને જિલ્લા કલેકટરશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે હેલ્મેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ટ્રાફિકના જવાનો દ્વારા ડો.આંબેડકર હોલથી બેનર્સ અને પોસ્ટર્સ સાથે શહેરના માર્ગો પર રેલી સ્વરૂપે નીકળીને નાગરિકોમાં ટ્રાફિક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો મુખ્ય હેતુ વાહન ચાલકો અને નાગરિકોને ટ્રાફિકના નિયમો વિશે માહિતગાર કરવાનો અવસર છે. જેથી વાહન ચાલકો પોતાનું વાહન ચલાવતી વખતે નિયમોનું ચૂસ્તપણે પાલન કરે અને અકસ્માત જેવી સ્થિતિ ન સર્જાય, લોકોને પણ આ વિશે સમજણ પૂરી પાડવામાં આવશે. જેથી તેઓ પણ અકસ્માતથી બચી શકે અને જો અકસ્માત સર્જાય તો ઈજાગ્રસ્ત વ્યક્તિને કઈ રીતે પ્રાથમિક સારવાર પૂરી પાડવી તે માટે First Aid Training Program નું પણ આયોજન કરવામાં આવેલ છે. વધુમાં રોંગ સાઈડ ડ્રાઈવીંગ, ઝડપી ડ્રાઈવિંગ, હેલ્મેટ વગર વાહન ચલાવવું, સીટ બેલ્ટ વગર વાહન ચલાવવું વાહન ચાલક માટે કેટલું ભારે પડી શકે છે તે માટે પણ માહિતગાર કરી તેમને ટ્રફિક નિયમોનું પાલન કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી-નર્મદા અને પોલીસ અધિક્ષકશ્રીની કચેરી-રાજપીપલા દ્વારા આયોજીત માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના પ્રારંભ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ) ના કાર્યપાલક ઇજનેરશ્રી એસ.એચ.મોદી, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત) કાર્યપાલક ઈજનેરશ્રી એ.એસ.પટેલ, જિલ્લા આરોગ્ય વિભાગમાંથી જિલ્લા એપેડેમિક મેડીકલ ઓફિસર ડો.આર.એસ.કશ્યપ, રાજપીપલા એસટી ડેપોના મેનેજરશ્રી કે.એચ. નાઈ, જિલ્લા પોલીસ અને ટ્રાફિક વિભાગ, ટીઆરબી જવાનો, એઆરટીઓ કચેરીના અધિકારીશ્રીઓ, જિલ્લાના મોટર વ્હિકલ્સના શો-રૂમના ડિલર્સ અને પ્રતિનિધિઓ, આઇટીઆઇ-શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM