
રિપોર્ટ ,મયુર પટેલ
આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિ

રાજ્ય સરકાર કૃષિ તાલીમ અને માર્ગદર્શન, યોજનાકીય આર્થિક સહાય, ઉપકરણ સહાય થકી ખેડૂતોને ઉન્નત કરવા સતત પ્રયત્નશીલ: સાંસદ સી.આર.પાટીલ

શેરડી પાકમાં મહત્તમ ઉત્પાદન મેળવનાર ખેડૂતોનું સન્માન

મહુવા તાલુકાના બામણીયા ખાતે મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. દ્વારા આદિજાતિ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદશ્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ખેડૂત સંમેલન’ યોજાયું હતું. જેમાં આધુનિક ખેતી પધ્ધતિ થકી ઓછા ખેતી ખર્ચથી વધુ ઉત્પાદન મળી રહે તેમજ પ્રધાનમંત્રીશ્રીની પરિકલ્પના મુજબ ખેડૂતોની આવક બમણી થાય, ટપક સિંચાઈ પધ્ધતિ અને પિયત સહકારી મંડળીઓનું આધુનિકરણ તેમજ નવી સિંચાઈ મંડળીઓ બનાવી પિયતની સુવિધામાં વધારો કરવા માટેના આગામી આયોજન અંગે વિચારવિર્મશ કરવામાં આવ્યું હતું.
આ અવસરે મંત્રીશ્રી, મહાનુભવોના હસ્તે શેરડી પાકમાં મહત્તમ ઉત્પાદન મેળવનાર પાંચ ખેડૂતોને સન્માનિત કરાયા હતા. તેમજ સાત નોમિનલ સભાસદોને શેર વિતરણ કરાયા હતા. સરકારી સહાય મેળવનાર અને ઉત્કૃષ્ટ ઉત્પાદન મેળવનાર અનુસુચિત જનજાતિ(એસ.ટી) અને અનુસુચિત જાતિ (એસ.સી)ના શેરડી પકવતા ખેડૂત લાભાર્થીઓનું પણ સન્માન કરાયું હતું.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલે ભૂતકાળમાં પોતાના ખેતી અને પશુપાલનના વ્યવસાયની સ્મૃતિ વાગોળી હતી. તેમણે જણાવ્યું કે, કૃષિ વ્યવસાયમાં સખ્ત પરિશ્રમ પૂર્વશરત હોય છે, પરંતુ હવે સરકાર દ્વારા ખેડુતોને અનેકવિધ સહાય આપવામાં આવે છે, જેથી ખેડુતો આધુનિક મશીનરીના ઉપયોગ વડે સરળતાથી ખેતી કરી પગભર બન્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોને કૃષિના ઋષિ સ્વરૂપે આત્મનિર્ભર બનાવવા અને કૃષિમાં મૂલ્યવર્ધન કરી આર્થિક સશક્ત કરવા પ્રતિબદ્ધ છે, જેને અનુસરી રાજ્ય સરકાર પણ રાજ્ય સરકાર ખેડૂતોને કૃષિ તાલીમ અને માર્ગદર્શન, યોજનાકીય આર્થિક સહાય, ઉપકરણ સહાય થકી ઉન્નત કરવા સતત પ્રયત્નશીલ છે.
વધુમાં શ્રી પાટીલે કહ્યું કે, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિના પિતામહ સ્વરૂપ છે, જેમની પ્રેરણાથી લાખો કિસાનોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. રાજ્યપાલશ્રીના બહોળા જ્ઞાનનો લાભ ગુજરાતના ખેડૂતોને મળી રહ્યો છે, ત્યારે ડાંગ જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે. રાજ્યને દેશભરમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે રોલ મોડલ બનાવવાનો સરકારનો પણ અવિરત પ્રયાસ છે.
ખેડુત કલ્યાણની યોજનાઓની સહાયના નાણાં સીધા ખેડુતોના બેન્ક અકાઉન્ટમાં જમાં થતા વચેટીયાપ્રથા નાબૂદ થઈ છે અને ખેડુતો પોતાના હકની નાણાકીય સહાય મેળવી રહ્યા છે. ગરીબ, મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્ય માટે મેડિકલનો અભ્યાસ કરી શકે એ માટે જિલ્લા દીઠ એક કોલેજ સ્થાપવાનો સરકારે સંકલ્પ કર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
કૃષિ રત્ન અને સંમેલનના તજજ્ઞ વકતાશ્રી સંજીવ માનેએ શેરડી પાકમાં વધુ ઉત્પાદન મેળવવાની આધુનિક પદ્ધતિઓ, સિંચાઈને કાર્યક્ષમ બનાવવા અને શેરડીને રોગમુક્ત બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે બારડોલી સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય સર્વશ્રી સંદિપ દેસાઈ, મોહનભાઈ ધોડિયા, મોહનભાઇ કોંકણી, જયરામ ગામીત, મહુવા સુગરના પ્રમુખશ્રી માનસિંહભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી બળવંતરાય પટેલ, મહુવા સુગર ફેકટરીના ડિરેક્ટરો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
