મોટી ઉંમર, ડાયાબિટીસ કે અન્ય કોઇ રોગ હોય તો પણ દર્દી સાજા થાય જ છે : ડૉ. હેતલબેન આહીર


રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે પી.ડી.યુ ઉપરાંત વધારાની સરકાર સંચાલિત હોસ્પિટલો કાર્યરત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કેન્સર કેર સેન્ટર ખાતે પણ ૨૦૦ બેડની અદ્યતન સારવાર સાથે કોવિડ હોસ્પિટલ શરુ કરવામાં આવી છે. કેન્સર કેર સેન્ટર સ્થિત કોરોના હોસ્પિટલમાં આજે ૭૯ વર્ષના વૃદ્ધ ડાયાબિટીસ સહિતની બીમારી હોવા છતાં કોરોનામુકત થયા હતા. અન્ય એક મહિલા દર્દી સહિત રાજકોટના ત્રણ સિનિયર સિટીઝન્સ કોરોનાની અદ્યતન સારવાર બાદ સાજા થતા સ્વગૃહે ખુશી સાથે પરત ફર્યા હતા. સરકારી હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફ દ્વારા નિયમિત તપાસ, જરૂરી તકેદારી અને માર્ગદર્શન તેમજ જરૂર મુજબ દવા અને ઓક્સિજન સહિતની વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કરતા સ્વસ્થ થયેલા રાજકોટના મુક્તાબેન લલીતભાઈ ભાડેશિયાએ જણાવ્યું હતું કે, કેન્સર કેર સેન્ટરની કોરોના હોસ્પિટલમાં સારામાં સારી સારવારની વ્યવસ્થા છે. હોસ્પિટલમાં સારવાર કરતા ડોકટર હેતલબેન આહિરે જણાવ્યું હતું કે , મોટી ઉંમર હોય તો પણ અથવા ડાયાબિટીસ કે બીજી બીમારી હોય તો પણ સમયસર ટેસ્ટ કરાવીને સારવાર કરવાથી કોરોનાથી સાજા થઇ શકાય છે. લોકોએ ડરવાની જરૂર નથી, ફક્ત તાત્કાલિક સારવાર અને ટેસ્ટ કરાવવાની જરૂર છે. આજે કેન્સર કેર સેન્ટરમાંથી કોરોનામુત થયેલા ૭૯ વર્ષના વૃધ્ધા અને અન્ય ત્રણ સિનિયર સીટીઝને તેમને કોરોનામુકત કરવામાં સરકારશ્રીનો અને જિલ્લા વહીવટી તંત્રનો સારામાં સારી સારવાર બદલ આભાર માન્યો હતો.(રિપોર્ટ-તુષાર પરીખ,રાજકોટ)
