
રિપોર્ટ,મયુર પટેલ
મંત્રી કુંવરજીભાઈ હળપતિ અને ગ્રામજનોએ વડાપ્રધાનશ્રીના ‘મન કી બાત’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સાંભળ્યું

આદિવાસીઓના સર્વાંગી ઉત્થાન માટે સરકારે અનેકવિધ જન કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી: આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ





મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશસહ ગામેગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ માંડવી તાલુકાના ખેડપુર-કાકડવા ગામની પ્રાથમિક શાળા ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં આવી પહોંચી હતી. સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તેમજ વડાપ્રધાનશ્રીનું મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ સાંભળ્યું હતું.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે, આદિવાસીઓના સર્વાંગી ઉત્થાન માટે સરકારે અનેકવિધ જન કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ફરીને નાનામાં નાના માણસોને કેન્દ્ર અને રાજ્ય સરકારની બહુવિધ યોજનાઓના લાભો આપી રહ્યો છે. જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરી લોકોનું જીવનધોરણ સુધારવાનો વિકસિત ભારત યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ શિક્ષણ, ખેતી, આરોગ્ય જેવા વિવિધ વિભાગોમાં કાર્યરત યોજનાઓનો મહત્તમ લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરતા વધુમાં વિવિધ યોજનાઓ અને તેના લાભોની જાણકારી આપી હતી. ગામડાઓ-ગીરીબ મધ્યમવર્ગી છેવાડાના વિસ્તારોના સર્વાંગી વિકાસની નેમ સાથે ૨૨ જેટલી આદિજાતિ યોજનાઓના લાભો આપવાની ઝુંબેશ ચલાવવામાં આવી છે. અને વર્ષ ૨૦૪૭ના વિકસિત ભારતના નિર્માણ માટે સજ્જ બની યોગદાન આપવાનું તેમણે આહ્વાન કર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું કે, આયુષ્માન કાર્ડ થકી ૧૦ લાખ સુધીની કેશલેસ આરોગ્ય સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવી છે. સુરત જિલ્લામાં સિકલસેલ એનીમિયાના દર્દીઓને સારવાર માટે સહાય આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સરકાર દ્વારા આદિવાસી દિકરા-દીકરીઓને વિદેશ અભ્યાસ માટે ૧૫ લાખની લોન સહાય, ડોકટર બનવા માટે નાણાકીય સહાય, પાયલોટ બનવા માટે ૨૫ લાખની લોન સહાય આપવામાં આવે છે.
આ અવસરે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલે લોકોના હિત માટે અમલી બનાવેલી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. ૨૦૪૭ સુધીમાં સિકલસેલને સંપૂર્ણ નાબૂદ કરવા અને જાગૃત થવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે દેશના ગામડાઓ વિકસિત બનશે ત્યારે જ દેશ વિકસિત બનશે.
આ વેળાએ મંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયુ હતું. ગ્રામીણ, ટ્રાઈબલ તાલુકામાં સરકારની યોજનાકીય સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દિલીપભાઈ ચૌધરી, શાસક પક્ષના નેતાશ્રી મીનાક્ષીબેન ચૌધરી, સરપંચ એસોશિએશનના પ્રમુખશ્રી કમલેશભાઇ ચૌધરી, ડે. સરપંચ રાજેશભાઈ ચૌધરી, માંડવી તાલુકા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્રસિંહ સોલંકી, મહામંત્રી અનિલભાઈ ચૌધરી, કાકડમા ડેરી પ્રમુખ લલ્લુભાઈ નાશાભાઈ, જિલ્લા પંચાયત સભ્યશ્રી ગીતાબેન પટેલ, અગ્રણીશ્રીઓ, મામલતદારશ્રી, તલાટી-કમ-મંત્રીશ્રી, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી વર્કર, તેડાગર, સખી મંડળની બેહેનો અને અન્ય વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
