નવા વર્ષ ૨૦૨૪ના નૂતન દિને સુરતના ઐતિહાસિક કિલ્લા ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ, મયુર પટેલ

સૂરતવાસીઓએ સૂર્ય નમસ્કાર કરી નવા વર્ષને આવકાર્યું

કેન્દ્ર સરકારના ‘ફિટ ઇન્ડિયા’ અને રાજ્ય સરકારના ‘સ્વસ્થ ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા તેમજ યોગાભ્યાસ થકી સ્વાસ્થ્ય જન જાગૃતિ માટે ‘સૂર્યનમસ્કાર મહાઅભિયાન’ અંતર્ગત સુરત શહેરના ચોકબજાર સ્થિત ઐતિહાસિક કિલ્લા ખાતે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને નવા વર્ષ ૨૦૨૪ના પ્રથમ અને નૂતન દિને સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સૂર્ય નમસ્કાર કરી સૂર્યદેવની ઉપાસના સહ વંદન કર્યા હતા. અહીં સૂરતવાસીઓએ સૂર્ય નમસ્કાર કરી નવા વર્ષને આવકાર્યું હતું, અને સામૂહિક યોગ મહાઅભિયાનમાં જોડાઈ શહેરીજનોને સ્વસ્થ રહેવા માટે પ્રેરિત કર્યા હતા.
નોંધનીય છે કે, યોગ અને સૂર્ય નમસ્કાર એ માનસિક અને શારીરિક ઉર્જાનો સ્ત્રોત છે. સૂર્ય નમસ્કારનું આરોગ્ય વિષયક, વૈજ્ઞાનિક અને ધાર્મિક એમ ત્રિવિધ રીતે મહત્વ છે. સૂર્ય નમસ્કારમાં મોટાભાગના આસનોનો સમાવેશ થઇ જતો હોવાથી તેને પૂર્ણ યોગ પણ કહે છે. સૂર્ય નમસ્કાર, જેને ‘ધ અલ્ટીમેટ આસન’ તરીકે પણ ઓળખવામાં આવે છે જે પીઠ તેમજ સ્નાયુઓને મજબૂત બનાવે છે અને બ્લડ સુગર ઘટાડે છે. નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે જેથી ત્વચા માટે પણ ફળદાયી બની રહે છે. આ પ્રકારે સૂર્ય નમસ્કારના અનેક ફાયદાઓ છે.
આજે નવા વર્ષના પહેલી પ્રભાતે સૂર્યના પ્રથમ કિરણ સાથે સમગ્ર ગુજરાત રાજ્યએ ‘રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કાર’ની થીમ સાથે સૌથી વધુ સંખ્યામાં યોગપ્રેમીઓએ સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ બનાવ્યો છે. મોઢેરાના સૂર્યમંદિર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વિજેતા થયેલા ૬ શ્રેષ્ઠ સ્પર્ધકોને પુરસ્કાર અપાયા હતા. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોગીપ્રેમીઓએ નિહાળ્યું હતું.
સૂર્યની ઉપાસના અને આરાધના કરવાના આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી વિનોદભાઈ મોરડિયા, પૂર્ણેશ મોદી, કોર્પોરેટરો, મનપાના અધિકારીઓ, શહેરીજનો સહિત મોટી સખ્યામાં યોગીપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM