


રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય યોજના ગ્રાન્ટ હેઠળ રૂા.૧૭૧ લાખના ખર્ચે બોટાદ નગરપાલિકા દ્વારા નિર્મિત નાઈટ શેલ્ટર હોમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથોસાથ મંત્રીશ્રીએ બોટાદવાસીઓને મુખ્યમંત્રી શહેરી બસસેવા અંતર્ગત બોટાદ નગરપાલિકા સંચાલિત સિટીબસ થકી પરિવહન ક્ષેત્રે મહામૂલી ભેટ આપી હતી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીશ્રીએ સિટીબસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ સફાઈ અભિયાનને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી સ્વીપર મશીનનું પણ લોકાર્પણ કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ શહેરના નવનાળા પાસે તમામ સુવિધાઓથી સંપન્ન શેલ્ટર હોમનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાત્રિ દરમિયાન રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ ફરતાં ઘરવિહોણાંઓ માટે આ શેલ્ટર હોમ આશરો બનશે. આ લોકાર્પણ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયુરભાઈ પટેલ, શ્રી ચંદ્રકાંતભાઈ સાવલિયા સહિતના પદાધિકારીશ્રીઓ તથા જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાણીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બલોલિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી પી.એલ.ઝણકાત, પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ, બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી પાર્થવન ગોસ્વામી સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
