‘અમૃત ૨.૦ મિશન’ અંતર્ગત સુરત શહેરમાં થયેલી કામગીરી અંગે ધારાસભ્યશ્રી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ‘અમૃત ૨.૦ મિશન’ તા. ૧ ઓક્ટોબર ૨૦૨૧માં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે શરુ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજ્યમાં રૂ. ૧૭,૭૧૭ કરોડની રકમના કુલ ૯૨૨ કામો હાથ ધરવામાં આવ્યા છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, સુરત શહેરમાં ‘અમૃત ૨.૦ મિશન’ અંતર્ગત છેલ્લા એક વર્ષમાં કુલ રૂ. ૪૦૦૬.૭૫ કરોડની રકમના ૨૭ કામો હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી રૂ. ૩૪૩.૯૧ કરોડની રકમનું ૦૧ કામ ડી.પી.આર. મંજૂરીના તેમજ રૂ. ૨૬૧૩.૫૦ કરોડની રકમના ૦૪ કામો માટે ટેન્ડર મંજૂરીના તબક્કે છે. ઉપરાંત રૂ. ૧૦૨૪.૦૮ કરોડની રકમના ૧૯ કામો પ્રગતિ હેઠળ છે તથા રૂ. ૨૫.૨૬ કરોડની રકમના ૦૩ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
વધુ સંક્ષિપ્ત માહિતી આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, ‘અમૃત ૨.૦ યોજના’ હેઠળ સુરત શહેરમાં પાણી પુરવઠા, ગટર વ્યવસ્થાપન, બાગ-બગીચા અને તળાવોના નવીનીકરણના કુલ ૨૭ કામો કરવામાં આવ્યા છે. જેમાં પાણી પુરવઠાના રૂ. ૯૯૬ કરોડના ૮ કામો, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનના રૂ. ૨૯૮૬ કરોડના ૧૩ કામો, તળાવ નવીનીકરણના રૂ. ૨૪ કરોડના ૫ કામો તેમજ બાગ-બગીચાના રૂ. ૧ કરોડના ૧ કામ હાથ ધરવામાં આવ્યા છે.
‘અમૃત ૨.૦ મિશન’ અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાની કામગીરી વિશે માહિતી આપતા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષમાં રૂ.૪૧૫.૨૩ કરોડના કુલ ૩૨ કામો હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી રૂ.૧૭૧.૮૯ કરોડના કુલ ૧૯ કામો પૂર્ણ થયા છે અને રૂ. ૨૪૩.૩૪ કરોડની રકમના ૧૩ કામો પ્રગતિ હેઠળ છે. જેમાં પાણી પુરવઠાના રૂ. ૧૪૧ કરોડના ૧૧ કામો, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનના રૂ. ૨૪૩ કરોડના ૧૭ કામો, તળાવ નવીનીકરણના રૂ. ૩૧ કરોડના ૪ કામો એમ રૂ. ૪૧૫ કરોડના કુલ ૩૨ કામ હાથ ધરવામાં આવ્યા છે, એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
