રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ખાસ સમીક્ષા બેઠક યોજી

એનડીપીએસના કેસોમાં અગાઉની સરખામણીમાં બમણાથી પણ વધુ કેસો કરવા બદલ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા: સ્થાનિક પોલીસને પણ એનડીપીએસના કેસ કરવા સૂચના અપાઈ

GujCTOC હેઠળ માત્ર પાંચ મહિનામાં મહત્તમ ૮ કેસ કરી ૭૭ આરોપીઓ સામે કડક કેસ કરવા બદલ મંત્રીશ્રીએ સરાહના કરી

અસામાજિક તત્વો વિરુદ્ધ થયેલી કામગીરી ઐતિહાસિક: આવા તત્વો સામે હજુ કડકમાં કડક કાર્યવાહી કરવાની દિશામાં ચોક્કસ રણનીતિ ઘડવા સૂચના

વ્યાજખોરો સામેની ફરિયાદ લઈને આવતા અરજદારને સિનિયર ઓફિસર ખુદ સંવેદનાપૂર્વક સાંભળે અને તેની સમસ્યાનો ઉકેલ લાવે તે અંગે મંત્રીશ્રી દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના અપાઈ

હની ટ્રેપ જેવા ગુનાઓમાં કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સૂચનાઓ પણ આપવામાં આવી

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સુશ્રી નિપૂણા તોરવણે, તમામ પોલીસ કમિશનરશ્રી તેમજ તમામ રેન્જના વડાશ્રીઓ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં ડ્રગ્સ સામે ચાલી રહેલી ઝુંબેશ અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા એનડીપીએસના કેસોમાં અગાઉની સરખામણીમાં બમણાથી પણ વધુ કેસો કરવામાં આવતા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવી સ્થાનિક પોલીસ પણ એનડીપીએસના કેસ કરવા અંગે સૂચના આપી હતી. તે ઉપરાંત માત્ર ૧૫ દિવસમાં ડ્રગ્સ માફીયાઓ સામે PIT NDPSના મહત્તમ ૧૭ કેસ કરવા બદલ મંત્રીશ્રીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા હતા અને હજુ મહત્તમ કેસ કરવા સૂચના આપી હતી.

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ થયેલી કાર્યવાહી માટે પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તે ઉપરાંત રાજ્યમાં GujCTOC હેઠળ કરવામાં આવેલી સઘન કાર્યવાહીની પણ મંત્રીશ્રીએ સરાહના કરી હતી. GujCTOC હેઠળ પાંચ મહિનામાં મહત્તમ ૮ કેસ કરી ૭૭ આરોપીઓ સામે કેસ કરવા આવ્યા છે.

રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલી કામગીરીનો રીવ્યુ કરવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો વિરુદ્ધ થયેલી ઐતિહાસિક કામગીરી બદલ અભિનંદન પાઠવી આવા તત્વો સામે હજુ કડકમાં કડક કાર્યવાહી કરવાની દિશામાં ચોક્કસ રણનીતિ ઘડવા સૂચના આપી હતી. તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૪થી તા. ૩૧મી મે ૨૦૨૫ દરમિયાન અસામાજિક તત્વો સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં ૫૮૨ ગેરકાયદેસર દબાણ દૂર કરાયાં, ગેરકાયદેસર વીજ જોડાણ અંતર્ગત ૧૮૬૧ સામે કાર્યવાહી, ૬૮૯ રીઢા ગુનેગારો સામે જામીન રદ કરવા અંગેની કાર્યવાહી તેમજ અસામાજિક તત્વોના બેંક એકાઉન્ટ તપાસી ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો કરનાર ૩૯૦ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલી આ કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યવાહી હજુ કડક બનાવવા મંત્રીશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી.

રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ ખૂબ કડક કામગીરી કરવામાં આવી રહી છે. તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૪થી તા. ૩૧મી મે ૨૦૨૫ દરમિયાન ૨૪૮૭ વ્યાજખોરો વિરૂધ્ધ ૧૦૫૪ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને ગુજરાત પોલીસ ૬૪૧ લોન મેળા યોજી નાગરિકોને મદદરૂપ થઈ છે. હજુ સ્થાનિક પોલીસ સ્ટેશને એફઆઇઆરમાં વિલંબ ન થાય તેની ખાસ કાળજી રાખવા અને વ્યાજખોર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે માટે અરજદારને સિનિયર ઓફિસર ખુદ સંવેદનાપૂર્વક સાંભળે અને તેની સમસ્યાનો ઉકેલ લાવે તે અંગે મંત્રીશ્રી દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી. તે ઉપરાંત હની ટ્રેપના તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૪થી તા. ૩૧મી મે ૨૦૨૫ દરમિયાન ૨૯૬ આરોપીઓ વિરૂધ્ધ ૬૬ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. હની ટ્રેપ જેવા ગુનાઓમાં કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *