પ્રાંતિજ એસ.ટી. ડેપો દ્વારા બસ રૂટ શરૂ કરાયો
વિદ્યાર્થીઓ અને અંતરીયાળ ગામડાના મુસાફરોને લાભ થશે
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા કાલીયા કુવા થી ગાંધીનગર સુધી નવીન બસ શરૂ કરવામાં આવી છે. પ્રાંતિજ ડેપો દ્વારા શરૂ કરવામાં આવેલા નવીન બસ રૂટના કારણે વિદ્યાર્થીઓ તેમજ અંતરિયાળ ગામડાના લોકોને ખૂબ જ લાભદાયી નીવડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના માલપુરથી ગાંધીનગર અવર-જવર માટે કોઈ જ બસ રૂટ કાર્યરત ન હતો.ત્યારે GSRTC ના પ્રાંતિજ ડેપો દ્વારા ગાંધીનગર થી કાલીયાકુવા એસ.ટી બસ સેવાનો નવીન રૂટ ચાલુ કરવામાં આવતા સજ્જનપૂરા કંપાના ગ્રામજનો દ્વારા બસને વધાવવામાં આવી હતી.કાલિયાકૂવા થી સવારે ૬:૦૦ કલાકે ઉપડતી એસ ટી બસ વાયા સારંગપુર, લિંબોદરા, સજ્જનપુરાકંપા, ગોવિંદપુરા કંપા, માલપુર , મોડાસા, હિંમતનગર , મજરા, ચિલોડા થઈ ગાંધીનગર જતી બસ માલપુરના સજ્જનપૂરા કંપામાં આવતા ગ્રામજનોએ એસ ટી બસ ને કંકુ ,ચોખા અને ફૂલહાર પહેરાવી બસનું સ્વાગત કર્યું હતું. ગાંધીનગર કાલીયાકુવા બસ ગાંધીનગર થી બપોરે ૪:૦૦ કલાકે ઉપડતી બસ ચાલુ કરવામાં આવતા વિદ્યાર્થીઓને તેમજ અંતરિયાળ ગામડાના મુસાફરોને ખૂબ સારી સુવિધા મળી રહેશે.જેથી માલપુર તાલુકામાં પ્રથમ ગાંધીનગર જવા માટે બસ રૂટ શરૂ થતાં માલપુર તાલુકાના મુસાફરોમાં આનંદ છવાયો હતો.


