પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સુગા યોશિહિદે વચ્ચે બેઠક યોજાઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 સપ્ટેમ્બર, 2021ના રોજ ક્વાડ લીડર્સ શિખર સંમેલન દરમિયાન વોશિંગ્ટન ડીસીમાં જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સુગા યોશિહિદે સાથે મુલાકાત કરી હતી. બંને પ્રધાનમંત્રીઓએ તેમની પ્રથમ વ્યક્તિગત મુલાકાત બદલ ખુશી વ્યક્ત કરી હતી. સપ્ટેમ્બર 2020થી શ્રી સુગાએ જાપાનના પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળ્યું ત્યારથી તેઓએ તેમની ત્રણ ટેલિફોનિક વાતચીતોને ઉષ્માપૂર્વક યાદ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત-જાપાન સ્પેશિયલ સ્ટ્રેટેજિક અને ગ્લોબલ પાર્ટનરશીપમાં મોટી પ્રગતિને સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી અને મુખ્ય કેબિનેટ સચિવ બંને તરીકે તેમની વ્યક્તિગત પ્રતિબદ્ધતા અને નેતૃત્વ માટે પ્રધાનમંત્રી સુગાનો આભાર માન્યો હતો. તેમણે વૈશ્વિક રોગચાળા વચ્ચે ટોક્યો ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક રમતોનું સફળતાપૂર્વક આયોજન કરવા માટે પ્રધાનમંત્રી સુગાને અભિનંદન આપ્યા હતા. બંને પ્રધાનમંત્રીઓએ બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને અફઘાનિસ્તાન સહિત તાજેતરના વૈશ્વિક અને પ્રાદેશિક વિકાસ પર મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું. તેઓએ મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી. તેઓ સંરક્ષણ સાધનો અને ટેકનોલોજીના ક્ષેત્ર સહિત દ્વિપક્ષીય સુરક્ષા અને સંરક્ષણ સહયોગ વધારવા સંમત થયા. બંને પ્રધાનમંત્રીઓએ બંને દેશો વચ્ચે વધતી આર્થિક સંલગ્નતાને આવકારી હતી. તેઓએ આ વર્ષની શરૂઆતમાં ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સપ્લાય ચેઇન રેઝિલિયન્સ ઇનિશિયેટિવ (એસસીઆરઆઇ) ની શરૂઆતને સહયોગી પદ્ધતિ તરીકે સ્થિતિસ્થાપક, વૈવિધ્યસભર અને વિશ્વસનીય સપ્લાય ચેઇનને સક્ષમ બનાવવા માટે આવકારી હતી. પ્રધાનમંત્રી મોદીએ ઉત્પાદન, એમએસએમઈ અને કૌશલ્ય વિકાસમાં દ્વિપક્ષીય ભાગીદારી વિકસાવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો. પ્રધાનમંત્રી સુગાએ પ્રધાનમંત્રી મોદીને જાણ કરી હતી કે આ વર્ષની શરૂઆતમાં હસ્તાક્ષર થયેલ સ્પષ્ટીકૃત કુશળ શ્રમિકો (એસએસડબલ્યુ) કરારને કાર્યરત કરવા માટે, જાપાની પક્ષ 2022ની શરૂઆતથી ભારતમાં કૌશલ્ય અને ભાષા પરીક્ષણો હાથ ધરશે. બંને પ્રધાનમંત્રીઓએ કોવિડ -19 રોગચાળો અને તેને નિવારવાના પ્રયાસો અંગે ચર્ચા કરી. તેઓએ ડિજિટલ ટેકનોલોજીના વધતા મહત્વ પર પ્રકાશ પાડ્યો અને આ સંદર્ભમાં ભારત-જાપાન ડિજિટલ ભાગીદારીમાં ખાસ કરીને સ્ટાર્ટ-અપ્સમાં પ્રગતિનું હકારાત્મક મૂલ્યાંકન કર્યું. તેઓએ વિવિધ ઉભરતી ટેકનોલોજીમાં વધુ સહયોગ અંગે મંતવ્યોની આપલે કરી. આબોહવા પરિવર્તન મુદ્દાઓ અને હરિયાળી ઉર્જા સંક્રમણ અને ભારતના રાષ્ટ્રીય હાઇડ્રોજન ઉર્જા મિશન સાથે જાપાનીઝ સહયોગની સંભાવનાઓ પર પણ ચર્ચાઓ થઈ. બંને પ્રધાનમંત્રીઓએ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટના સરળ અને સમયસર અમલીકરણને સરળ બનાવવા માટે પ્રયાસોને આગળ વધારવા માટે તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી. બંને નેતાઓએ ભારત-જાપાન એક્ટ ઈસ્ટ ફોરમ હેઠળ ભારતના પૂર્વોત્તર ક્ષેત્રમાં દ્વિપક્ષીય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સમાં પ્રગતિનું સ્વાગત કર્યું હતું અને આવા સહકારને વધુ વધારવાની શક્યતાઓ પર પણ ધ્યાન આપ્યું હતું. પ્રધાનમંત્રી સુગાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત-જાપાન ભાગીદારી દ્વારા પ્રાપ્ત મજબૂત ગતિ જાપાનમાં નવા વહીવટ હેઠળ પણ ચાલુ રહેશે. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે નજીકના ભવિષ્યમાં ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન માટે જાપાનના આગામી પ્રધાનમંત્રીનું ભારતમાં સ્વાગત કરવા માટે તેઓ આતુર છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM