




મહાગુજરાત અને પ્રજાકીય આંદોલનના પ્રણેતા શ્રી ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિકની જન્મ જયંતી નિમિત્તે વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના ભવ્ય તૈલચિત્રને વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્ય દ્વારા ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્યએ કહ્યું કે,ઇન્દુચાચાના હુલામણા નામથી ઓળખાતાશ્રી ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિકે પત્રકાર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તેઓએ ગાંધીજી, સરદાર પટેલ સાથે રહી સ્વાતંત્ર્ય સંગ્રામ હેઠળના જુદા જુદા આંદોલનોમાં સક્રિય ભાગ લીધો તથા કિસાન અને કામદાર પ્રવૃત્તિમાં સક્રિય રીતે જોડાયા હતા. મહાગુજરાત આંદોલનના લોકપ્રિય, સંઘર્ષશીલ અને સક્રિય નેતા રહ્યા હતા. આત્મકથા, નવલકથા, વ્યક્તિ-ચરિત્ર-લેખ, ગ્રંથ, અનુભવ-ચિત્રો, પરિચય પુસ્તિકા, સંપાદન ગ્રંથો સહિત સાહિત્ય ક્ષેત્રે પણ તેમનું બહોળું પ્રદાન રહેલું છે. આ પ્રસંગે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી સુખરામભાઈ રાઠવાએ પણ શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકના આઝાદીકાળના પ્રસંગોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ,આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ,ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા,વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી,શિક્ષણ રાજ્યમંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર,પશુપાલન રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમ,પૂર્વ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના સચિવશ્રી તેમજ ઉચ્ચ અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓએ ઉપસ્થિત રહીને તેમના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા.
