










આરોગ્યલક્ષી યોજનાઓની ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચે તે માટે રાજય સરકારશ્રી દ્વારા આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જલાલપોર તાલુકાના મરોલી કોળી સમાજની વાડી ખાતે ધારાસભ્યશ્રી આર.સી.પટેલે આરોગ્યમેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી આર.સી.પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ ગામેગામ લોકોને જાણકારી મળી રહે તે શુભ આશયથી આરોગ્ય મેળાઓ યોજવામાં આવે છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યલક્ષી સેવાઓ નિષ્ણાંત તબીબો દ્વારા ઘરઆંગણે આપવામાં આવે છે. તેમજ આરોગ્યને લગતી વિવિધ જાણકારી આરોગ્ય મેળામાં મળી રહે છે જેનો ગ્રામજનોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્યશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ જે કોઇનું બાકી હોઇ તેઓએ તાત્કાલિક કઢાવી લેવા અપીલ કરી હતી. ગંભીર બીમારી સામે રક્ષણ મેળવવા આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ ખૂબ જ જરૂરી છે. જેનાથી પાંચ લાખ સુધીનો આર્થિક સહાયનો લાભ મળશે. કાર્યક્મના પ્રારંભમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાવસારે મહેમાનોને આવકારી રાજય સરકારશ્રીની આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. આ અવસરે ધારાસભ્યશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો પણ એનાયત કરાયા હતા. કાર્યક્રમના સ્થળે જિલ્લાના જુદા જુદા વિભાગ દ્વારા પ્રદર્શન સ્ટોલ્સ ઉભા કરી પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન પટેલ, પ્રાંત અધિકારી શ્રી રાજેશ બોરડ, ડો.સુજીત પરમાર, તાલુકા/જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, આરોગ્ય વિભાગના કર્મીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.
