સુરત સ્થિત કાલુપુર કો. ઓ. બેંક લિ.ની સાથે થયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં ત્રણ આરોપીઓની સી.આઇ.ડી. ક્રાઈમ સુરત દ્વારા ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં આવેલી કાલુપુર કો ઓપરેટિવ બેંકના મેનેજરની મદદગારીથી ૪ શખ્સોએ રૂપિયા ૬ કરોડની લોન લીધી હતી. આ લોન બેંકમાથી તત્કાલીન બેંક મેનેજર સાથે મેળાપીપણું કરી કાવતરૂ રચી રૂપિયા ૬,૦૦,૦૦,૦૦૦નું હાઈપોથીકેશન સ્ટોક કમ બુક ડેષ્ટ પ્રકારનું બેંકની ગાઈડ લાઈન અને સરક્્યુલરો તેમજ નિયમોનું ઉલ્લંઘન કરી ધિરાણ મેળવી લીધું હતું.
ધિરાણની રકમ લીધા બાદ બેંકમાં પરત ભરપાઈ કરી ન હતી. આમ, ધિરાણની શરતોનું પાલન કર્યું ન હોતું. આ સાથે જ બેંક એકાઉન્ટને એન.પી.એ. કરાવી, મોર્ગેજમાં મુકેલ પ્રોપર્ટીનું ઓવર વેલ્યુએશન કરાવ્યું હતું. કોર્ટ કમિશ્નર સમક્ષ જપ્તીની કાર્યવાહી દરમ્યાન ખોટા અને બનાવટી સ્ટોક સ્ટેટમેન્ટ તથા ઉઘરાણીના સ્ટેટમેન્ટ રજૂ કરી બેંક સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનો કર્યો હતો. આ અંગે સીઆઇડી ક્રાઈમમાં બેંકના અધિકારી જયેશ ભાઈ દ્વારા ભગવાનભાઈ નારાયણભાઈ પટેલ, અશ્વિનભાઈ નારાયણભાઈ પટેલ,
ભાવેશભાઈ ભગવાનભાઈ પટેલ, હેમાંગભાઈ યુ. પરીખ અને ઓવર વેલ્યુએશન કરનાર વેલ્યુઅર એચ.ટી.શાહ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. તપાસમાં આરોપીઓ સામે યોગ્ય પુરાવા મળી આવતાં આરોપી ભગવાન,અશ્વિન અને ભાવેશ ની ધરપકડ કરી તેમને જેલ ભેગા કર્યા હતા.જ્યારે અન્ય બે આરોપી હજી પોલીસ ગિરફત થી દુર ભાગી રહ્યા છે.

