નર્મદા જિલ્લાના અંતરિયાળ ચિકદા તેમજ આજુબાજુના ૮ થી ૧૦ ગામના લોકોએ “સેવાસેતૂ કાર્યક્રમ” નો લાભ લીધો
શૈશવ રાવ
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ચિકદા ગામે ગઈકાલે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલા ૮ માં તબક્કાના "સેવા સેતૂ કાર્યક્રમ" ને પદાધિકારીશ્રીઓ/ અધિકારીશ્રીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીને સરકારી યોજનાનો લાભ ઘર આંગણે જ ઉપલબ્ધ થાય તેવા શુભ આશયથી સંખ્યાબંધ શૃંખલામાં "સેવાસેતૂ કાર્યક્રમો" નું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે દેડિયાપાડા તાલુકાના ચિકદા ગામે ગત શનિવારે યોજાયેલા ૮ માં તબક્કાના "સેવાસેતૂ કાર્યક્રમ" માં આ વિસ્તારના ૮ થી ૧૦ ગામના લાભાર્થીઓ અને ગ્રામજનોએ લાભ લીધો હતો. ઉક્ત "સેવાસેતૂ કાર્યક્રમ" માં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહી લાભાર્થીઓને યોજનાકીય લાભોની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ પ્રસંગે દેડિયાપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી માધવસિંહ તડવી, દેડીયાપાડા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રીમતી દક્ષાબેન વસાવા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી ખાનસિંગભાઈ, તાલુકા પંચાયતના સદસ્યશ્રી અમરસિંહભાઈ, ચિકદા ગ્રામ પંચાયતના સરપંચશ્રી, દેડીયાપાડાના અગ્રણી શ્રી ઇશ્વરભાઇ વસાવા, શ્રી સોનજીભાઈ વસાવા, ટીડીઓશ્રી, દેડિયાપાડાના મામલતદારશ્રી, સીડીપીઓશ્રી, મેડિકલ ઓફિસરશ્રી, તલાટીશ્રી તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.