રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના વરદ્ હસ્ત નંદીઘરના દાતાશ્રીઓનું સન્માન કરાયું

મોરબી નગરપાલિકા સંચાલિત નંદીઘરમાં રાખવામાં આવે છે નંદીઓની સાર-સંભાળ

મોરબી
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે નગરપાલિકા સંચાલિત નંદીઘરના દાતાશ્રીઓનું સન્માન-અભિવાદન કરાયું. નંદીઘર કે, જેમાં શહેરમાં રખડતા નંદીઓ ની સાર-સંભાળ રાખવામાં આવે છે જેથી જીવરક્ષા તો થાય જ છે સાથે સાથે શહેરમાં ટ્રાફિક જેવી સમસ્યાઓ પણ નિવારી શકાય છે. આ નંદીઘરની નાણાકીય જરૂરિયાતોને સંતોષવા દાતાશ્રીઓનો સહયોગ મળી રહે છે. નંદીઘરમાં દાન આપનાર સંસ્થાઓ તેમજ દાતાશ્રીઓનું રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીશ્રીએ નંદીઘરની મુલાકાત લઈ જાત નિરીક્ષણ પણ કર્યુ હતુ. દાતાશ્રીઓના આ માનવીય અભિગમ ની સરાહના કરતાં રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નંદીનું જ સ્વરૂપ બળદ એ ભારતની કૃષિ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. પર્યાવરણમાં પણ વન્યસૃષ્ટિ સિવાય નંદી અને ગાય એમ તમામ જીવ સૃષ્ટીનું પણ મહત્વનું યોગદાન છે. ત્યારે નગરપાલિકા દ્વારા આવા મૂંગા પશુઓની દરકાર રાખવામાં આવે છે જેથી તેમની કામગીરીને પણ બિરદાવી જોઈએ. નગરપાલિકાના આ કાર્યમાં દાતાશ્રીઓનો સહયોગ પણ ખૂબ મહત્વનો છે માટે દાતાશ્રીઓને પણ મંત્રીશ્રીએ ધન્યવાદ આપ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે ધક્કાવાળી મેલડી માતાજી મંદીર-મોરબી, બજરંગ ધુન મંડળ-મોરબી, પરમેશ્વર સંતવાણી સેવા મંડળ-મોરબી, ખીજડીયા સત્સંગ મંડળ, શામજીભાઈ રંગપરીયા તેમજ વિનુભાઈ રૂપાલા એમ દાતા સંસ્થાઓ તેમજ દાતાશ્રીઓનું સન્માન કરાયું હતું.નંદીઘરમાં ચાલતી કામગીરીની રૂપરેખા નગરપાલિકા ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજાએ આપી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી કુસુમબેન પરમાર, અગ્રણી સર્વેશ્રી સુરેશભાઈ દેસાઈ, દેવાભાઈ અવાડીયા તેમજ નગરપાલિકાના ચેરમેનશ્રીઓ, સદસ્યશ્રીઓ અને સ્થાનિક અગ્રણીઓ તથા દાતા સંસ્થાઓના પ્રતિનિધિઓતેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *