
હાથસિલાઇથી ગુજરાન ચલાવવું મુશ્કેલ છે ત્યારે આ યોજના મારા માટે સંજીવની બની છે – ગંગા સ્વરૂપા આશાબેન ડાભી
નિરાધાર વિધવાઓને સમાજમાં ગૌરવ સાથે જીવન જીવવાનો હકક મળે તથા તેઓ યોગ્ય પુનવર્સન માટે સક્ષમ બને તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સરહદી કચ્છ જિલ્લાની અનેક વિધવા મહિલાઓ લાભાન્વિત થઇને સમાજમાં માનભેર જીવન જીવી રહી છે ત્યારે આ યોજનાના લાભાર્થી ગંગા સ્વરૂપા આશાબેન ડાભીએ આ સહાયને પોતાના પરીવાર માટે સંજીવની ગણાવીને આ યોજનાએ તેમના જીવનમાં કઇ રીતે પ્રકાશ ફેલાવ્યો તે અંગે લાગણીસભર શબ્દોમાં જણાવીને સરકારશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.
‘‘ ૩ માસ પહેલા જ મારા પતિનું હાર્ટએટેકથી મૃત્યુ નીપજયું છે. મારા બે પુત્રો છે, જેમાંથી એક પુત્ર માનસિક રીતે અસ્થિર હોવાથી મેન્ટલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. આ સ્થિતિમાં હું એકદમ ભાંગી પડી હતી. કઇ રીતે મારા બાળકોનું પાલન પોષણ કરીશ તે યક્ષપ્રશ્ન સર્જાયો હતો. ઉપરથી આવકનો કોઈ મોટો સ્ત્રોત ન હોવાથી માનસિક રીતે હતાશામાં ગરકાવ થઇ ગઇ હતી. હું હાથસિલાઇ કરીને મારૂ અને મારા બાળકોનું ગુજરાન ચલાવું છું એવું ભુજના ૪૮ વર્ષીય આશાબેને આંખના ખુણા લુછતા જણાવ્યું હતું. આ સ્થિતીમાં સંબંધીથી પાસેથી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંગે જાણ થતાં તે મેળવવા જરૂરી દસ્તાવેજો રજુ કરીને પ્રક્રિયા પુરી કરતા હાલ મને દર માસે રૂ.૧૨૫૦ની સહાય પ્રાપ્ત થઇ રહી છે. આ સહાય નથી પરતું મારા જેવી નિરાધાર મહિલા માટે સંજીવની સમાન છે. આ સહાયથી મારા બાળકો અને મારૂ જીવન વધુ સરળ અને માનભેર બન્યું છે. મારા પુત્રની બિમારીનો ખર્ચ ,અન્ય પુત્રના અભ્યાસ તથા અમારૂ ગુજરાન ચલાવવા આ નાણાં અત્યંત ટેકારૂપ બની રહ્યા છે. મારે કોઇ આગળ હાથ ફેલાવવાની જરૂર નથી પડતી. હું દિલથી સરકારશ્રીનો આભાર વ્યકત કરૂ છું કે, સરકાર વિધવા મહિલાઓને મદદરૂપ બનીને તેઓને સક્ષમ બનાવી રહી છે.”

