








સયાજીનગર ગૃહ ખાતે ભારત સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ ને અનુલક્ષીને યોજાયેલા કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ અને વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી અશોકભાઈ પટેલ તથા મહાનુભાવોએ જિલ્લાના ગ્રામ વિસ્તારના લાભાર્થીઓ ને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કર્યું હતું.
આ કાર્યક્રમ ના મંચ પરથી વિવિધ કેન્દ્રીય યોજનાઓનો લાભ મેળવનારા લોકોએ,તેનાથી તેમના જીવનમાં આવેલા બદલાવ,સંકટ સમયે મળેલી સહાયતા ની હ્રદયસ્પર્શી રજૂઆત કરીને સરકારની સંવેદનશીલતા બયાન કરી હતી.
કોવીડ કટોકટીમાં ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે દૂરંદેશી બતાવી, જે વ્યાપક વ્યવસ્થાઓ કરી, એ વિશ્વમાં તેમને બેજોડ નેતા,મુઠ્ઠી ઊંચેરા માનવી તરીકે તેમને પ્રસ્થાપિત કરે છે એવી લાગણી વ્યક્ત કરતાં મનિષાબેને જણાવ્યું કે, તેમણે વિકાસશીલ નૂતન ભારતના નિર્માણની મજબૂત નિવ નાંખી છે. તેમણે જણાવ્યું કે કોરોના કટોકટી દરમિયાન ભારત સરકારે ૮૦ કરોડ લોકોને અનાજ પૂરું પાડ્યું અને દેશના લોકોના રસીકરણ ઉપરાંત અન્ય દેશોને પણ રસી પૂરી પાડી. તેમણે રામ મંદિર નિર્માણ,૩૭૦ કલમની નાબૂદી,૨૦૦ થી વધુ કલ્યાણ યોજનાઓ ના અમલ સહિત યશસ્વી સિદ્ધિઓની જાણકારી આપી હતી. તેમણે સહુને પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં પધારવા આમંત્રણ પાઠવ્યું હતું.
જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી ના નેતૃત્વ હેઠળ દેશ આત્મ નિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે.
મંત્રીશ્રી એ કહ્યું કે ૧૮ મીના કાર્યક્રમમાં વડાપ્રધાન રેલવે ના વિકાસ આયોજનોની સાથે મહિલા પોષણની યોજના શરૂ કરાવશે.
કાર્યક્રમના મંચ પરથી સામાન્ય પરિવારના શ્રી મનુભાઈ માળીએ ભારત સરકારના પી.એમ.આયુષ્માન કાર્ડ થી તેમને મળેલા નવા જીવનની હ્રદયસ્પર્શી વાત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે મારે બે વાર હૃદયરોગને લીધે બાયપાસ સર્જરી કરાવવી પડી જે ઉપરોક્ત કાર્ડ ને લીધે સરળતા થી થઈ.
તેમણે ભાવસભર શબ્દોમાં જણાવ્યું કે મોદી સાહેબની આ યોજનાએ લાખો લોકોને નવી જિંદગી આપી છે.તેમનો ખૂબ ખૂબ આભાર.
૨૩ વર્ષની યુવતી સંજુ શેખે મુદ્રા યોજના હેઠળ મળેલા ધિરાણ થી ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસ શરૂ કરવાની સાફલ્ય ગાથા વર્ણવીને,હવે એ જ યોજનાની મદદ થી તેને વિસ્તારવા ના આયોજનની જાણકારી આપી હતી.
વાઘોડિયાના જશોદાબેન વસાવાએ પી.એમ.આવાસ યોજનાથી પોતાની માલિકી નું પાકું ઘર મળવાનો આનંદ સાભાર વ્યક્ત કર્યો હતો.
સાવલીના અરુણાબેન રાઠોડે ઉજ્જવલા યોજના હેઠળ મળેલા રાંધણ ગેસ જોડાણ થી થયેલા લાભો અને બદલાવની જાણકારી આપીને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા,જિલ્લા પક્ષ અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ પટેલ અને પદાધિકારીઓ તથા જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
