








કેન્દ્ર સરકારના સુશાસનના ૮ વર્ષ પૂર્ણ થતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ગરીબ કલ્યાણ અને સેવા સુશાસનનો જીલ્લાકક્ષાનો કાર્યક્રમ ધોળકા ખાતે પંચાયતમંત્રીશ્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં યોજાયો. કેન્દ્ર સરકારની 13 જેટલી અલગ -અલગ યોજનાઓ અંતર્ગત જીલ્લામાં યોજનાઓના સિદ્ધ કરાયેલ લક્ષ્યાંકના લાભાર્થીઓને વર્ક ઓર્ડર,રીવોલ્વીંગ ફંડ,ઉજજવલા કીટ,PMJAY કાર્ડ, મંજૂરી હુકમ પત્ર,અને સ્માર્ટ ફોન માટેના પૂર્વ મંજૂરી પત્રોનું મંત્રી શ્રી અને મહાનુભાવો ના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું અને અમદાવાદ જિલ્લાના વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સ્ટેજ પર લાભ આપી લાભાન્વિત કરાયા હતા.પૂર્વ મંત્રી શ્રી અને ધોળકાના ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે દેશની આઝાદી બાદ નવી સરકાર રચાઈ અને લાંબા સમય સુધી એક જ સરકારનું શાસન રહ્યું પણ દેશમાં માળખાકીય સુવિધાઓમાં વ્યવસ્થા ન બદલાઈ અને તેથી સામાન્ય માનવીની વ્યથામા વધારો થયો. ગુજરાતની ઓળખ પહેલા સૂકા પ્રદેશ તરીકે હતી પરંતુ સમય જતાં વ્યવસ્થા બદલાતા આજે જળસંચયના અનેક પ્રકારના કામો હાથ ધરાતા આજે ગુજરાતની ઓળખ “જળસંચય સ્ટેટ” તરીકે સમગ્ર દેશમાં પ્રસ્થાપિત થઈ છે.તે ઉપરાંત રાજ્યમાં વીજળી,પાણી,રોડ, શૈક્ષણિક સુવિધાઓ,કૃષિ કલ્યાણકારી યોજનાઓ અને નાના મોટા સ્થળોએ ધંધા રોજગાર માટે ઉધોગો પણ સ્થપાયા.રાજય સરકારે આર્થિક, સામાજિક અને વ્યવસાયિક બાબતોમાં જન-જનને સાંકળીને ચિંતા વ્યક્ત કરી છે.પૂર્વ મંત્રી શ્રી એ વિશેષમાં જણાવ્યું કે ૧૮જૂનના રોજ અમદાવાદ -બોટાદ ટ્રેન શરુ થાય છે તેનું વડાપ્રધાનશ્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવશે.મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સુશાસનના આઠ વર્ષ પુર્ણ થવાના પ્રસંગે સુશાસન સપ્તાહની સમગ્ર દેશભરમાં ઉજવણી થઇ રહી છે, ત્યારે વડાપ્રધાનશ્રીની વિકાસ યાત્રા થકી દેશના છેવાડાના માનવીને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મળી શક્યો છે. વડાપ્રધાનશ્રીએ દેશના તમામ વર્ગના લોકોને પ્રાથમિક સુવિધા તુરંત મળે તે માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. તેમ જણાવતાં મંત્રી શ્રી એ ઉમેર્યું હતું કે આજે દેશના લોકોને વિવિધ યોજનાઓના લાભ આપીને તેમના જીવનધોરણને ઊંચું લાવવાના સફળ પ્રયત્નો કર્યા છે.તો આજના આ સુશાસનની ઉજવણીના પ્રસંગે આપણે સૌના સાથ સૌના વિકાસ અને સૌને વિશ્વાસ થકી ભારતમાતાને સમૃદ્ધિના શિખરે લઈ જવા માટે અનુરોધ કર્યો હતો.આપણા વડાપ્રધાન શ્રી એ દરેક પરિસ્થિતિમાં દેશહિતના નિર્ણયો લઈને ભારતને સર્વોપરી બનાવવા હર હંમેશ પ્રયત્નશીલ રહ્યા છે એના પરિણામ સ્વરૂપ આજે સમગ્ર વિશ્વ ભારતને આવકારી રહ્યું છે.જે આપણા સૌ ભારતવાસીઓ માટે ગૌરવની વાત કહેવાય તેમ મંત્રી શ્રી એ જણાવ્યું હતું.ગુજરાતમાં પંચાયત ક્ષેત્રે છેલ્લા છ મહિનામાં 300 નવી ગ્રામ પંચાયતોની સ્થાપના કરવામાં આવી છે જેમાં 13600 જેટલી સરકારી કર્મચારીઓની ભરતી પ્રક્રિયા ખુબજ પારદર્શક રીતે ચાલી રહી છે જેથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ બાબત ખુબજ લાભદાયી છે તેમ તેઓએ જણાવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવી શિક્ષણ નીતિ મુકવામાં આવી છે જેનું ગુજરાતમાં અમલીકરણ થઈ રહ્યું છે જે વિદ્યાર્થીઓના ભણતરને લઈને ખૂબ ઉપયોગી નીવડશે.તેમ તેઓએ જણાવ્યું હતું. મંત્રી શ્રી એ ઉમેર્યું હતું કે આજે મને કહેતા ગૌરવ થાય છે કે જ્યારે આખું વિશ્વ કોરોના જેવી મહામારી સામે ઝઝુમી રહ્યું હતું ત્યારે આપણા દેશે કોરોનાની સ્વદેશી રસી દેશની જનતાને ફ્રી માં આપીને સમગ્ર વિશ્વમાં કોરોનાને હરાવવામાં અગ્રેસર રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને જરૂરીયાતમંદ લોકો માટેની વિવિધ યોજનાઓ થકી તેમના જીવનધોરણમાં સુધારો આવે તે માટે પ્રયત્નો કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કિસાન સન્માન નિધિ યોજના થકી દેશના ૧૧ કરોડ જેટલા ખેડૂતોને ખેતી કામ માટે સીધી સહાય આપવામાં આવી છે. દેશના વડાપ્રધાન અને દેશના નાગરિકના તંદુરુસ્તીની ચિંતા કરી આયુષ્યમાન ભારત અને સ્વચ્છ ભારત મિશન જેવી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આજે જન-ધન યોજના થકી દેશમાં ૧૦ કરોડથી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે. જેના થકી સામાન્ય માનવીનો આર્થિક વ્યવહાર સરળતાથી ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી વિવિધ યોજનાઓ થકી દેશના માનવીને સીધો લાભ આપવામાં આવી રહ્યો છે.તેમ મંત્રી શ્રી એ ભારપૂર્વક જણાવ્યું હતું. આ અવસરે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે સહાય કીટ અને મંજુરી પત્રોના હુકમ વિસ્તરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દસક્રોઈ ધારાસભ્ય શ્રી બાબુભાઇ પટેલ, સાણંદ ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, જીલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે, જીલ્લા વિકાસ અધિકારી શ્રી અનીલભાઈ ધામેલિયા, જીલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, વિવિધ કારોબારી સમિતીના સભ્યો, સરપંચશ્રીઓ, વિવિધ વિભાગોના પદાધિકારીઓ અને લાભાર્થીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

