દાહોદ જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આગામી તા. ૨૩ થી ૨૫ જુન દરમ્યાન “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨” કાર્યક્રમ યોજાશે

જતીન સોની દાહોદ

દાહોદ જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આગામી તા. ૨૩ થી ૨૫ જુન દરમ્યાન “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨” કાર્યક્રમ યોજાશે. જેમાં બાળકોના ૧૦૦ ટકા નામાંકન થાય એ માટે જિલ્લાના તમામ પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ જોડાશે. જિલ્લાની ૧૬૪૭ શાળાઓને આ ત્રણ દિવસમાં ૧૫૦ રૂટ થકી આવરી લેવાશે અને બાળકોને પ્રોત્સાહક વાતાવરણમાં શાળા પ્રવેશોત્સવ કરાવાશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુર પારેખે અહીંના બીઆરસી ભવન ખાતેના સભાખંડમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યું છે.
તેમણે જણાવ્યું કે, છેલ્લા દોઢેક વર્ષથી કોરાનાને કારણે શૈક્ષણિક કામગીરી અવરોધાઇ હતી. જે હવે શાળાઓ શરૂ થતા બાળકોને સરસ પ્રોત્સાહક વાતાવરણમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાશે. જિલ્લાના તમામ બાળકોનું ૧૦૦ ટકા નામાંકન થાય એ રીતનું સુદ્દઢ આયોજન કરાયું છે. રાજ્યકક્ષાએથી પણ આ કાર્યક્રમ માટે વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારા ઉપરાંત આઇએએસ અધિકારીશ્રી તેમજ ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિતના ૧૦ અધિકારીશ્રીઓની નિમણુંક કરાઇ છે.
તેમણે ઉમેર્યું કે, “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨” કાર્યક્રમ અંતર્ગત ત્રીદિવસીય કાર્યક્રમમાં જિલ્લામાં શાળામાં પ્રવેશપાત્ર ૫૩૪૯૩ બાળકો છે. અત્યાર સુધીમાં ૩૫૮૯૮ બાળકોનું નામાંકન કરાયું છે. જેમાં ૧૮૪૭૪ કુમાર અને ૧૭૪૨૪ કન્યાઓ છે. અને આ ત્રણ દિવસના કાર્યક્રમ થકી નામાંકન ૧૦૦ ટકા પહોંચાડવાના લક્ષ સાથે કામગીરી કરાશે.
શ્રી પારેખે જણાવ્યું કે, આ ત્રણ દિવસો ઉપરાંત બાકીની શાળાઓમાં પણ શનિવારે પ્રવેશ માટેની કામગીરી કરાશે. જેથી આ કાર્યક્રમ તમામ શાળાઓ સુધી પહોંચી શકે. આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ, આગેવાનો તેમજ તમામ અધિકારીશ્રીઓ પણ જોડાશે. આ પ્રવેશોત્સવમાં કાર્યક્રમનું સંચાલન પણ બાળકો જ કરશે અને તેમનું પ્રવેશોત્સવ સમયે સરસ સ્વાગત કરીને ઉત્તમ વાતાવરણ પુરૂ પડાશે.
બાળકોને પ્રોત્સાહન આપવા માટે કેટલાંક દાતાઓ દ્વારા ઉત્તમ કામગીરી કરાઇ રહી છે. બાળકોને નોટબુક, પેન્સીલ બોક્સ, શુઝસ સહિતની શૈક્ષણિક કીટસ અપાઇ રહી છે. જેથી બાળકો પ્રોત્સાહિત થાય. સમાજના અગ્રણીઓ આ ઉમદા કાર્યમાં સહભાગી થાય એમ પણ શ્રી પારેખે જણાવ્યું હતું.
જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો પાછલા વર્ષોની તુલનામાં નોંધપાત્ર ઘટયો છે. વર્ષ ૨૦૦૨-૦૩ માં ૧૨.૨૯ ટકા ડ્રોપઆઉટ રેશિયો હાલમાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૦.૩૨ ટકા પહોંચ્યો છે તેમ પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ ઉમેર્યું હતું.
આ કાર્યક્રમની સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓને કોરોનાની વેક્સિન આપીને સુરક્ષિત કરવા માટેનું વિશેષ અભિયાન પણ યોજાશે તેમ તેમણે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ-ર૦૦૩થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની ૧૭ મી શૃંખલા આગામી તા. ર૩ થી રપ જૂન-ર૦રર દરમ્યાન યોજાશે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM