રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા





ગ્રામસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. લોકોના દ્વારે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ વિટંબણાઓ દૂર કરવા રાત્રી અને દિવસીય ગ્રામસભાઓ યોજવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના સરહદી ગામ ખાતે શ્રી કે.જે પટેલ હાઇસ્કુલ પટાગણમાં જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં તારીખ ૨૧/૦૬/૨૦૨૨ના રોજ રાત્રે ૭.૦૦ કલાકે ગ્રામસભા યોજાઇ હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ડી.એચ.શાહ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દિપકભાઈ, ઉપપ્રમુખશ્રી, ગામના સરપંચશ્રી,પ્રાંત અધિકારી,મામલતદાર,
શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તેમજ સ્થાનિક તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ગ્રામસભામાં ઉપસ્થિત રહ્યા હતા અને વ્યક્તિગત તેમજ સામૂહિક યોજના અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. જેનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ ગ્રામજનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્ર-રાજ્ય સરકાર લોકોની સંતૃપ્તી અને માનવ સૂચકઆંક વધારવા માટે વિવિધ યોજનાઓ થકી ઘણા પ્રયત્નો કરે છે. પણ ક્યાંક જાગૃતતાના અભાવે પૂરતી માહિતી ન હોવાના કારણે યોજનાઓ લોકો સુધી પહોંચતી નથી. કે લોકો તેનો પુરતો લાભ ઉઠાવી શકતા નથી. જ્યારે જ્યારે ગ્રામ્ય-તાલુકા-જિલ્લા લેવલનું વહીવટીતંત્ર આપના ગામે પહોંચે ત્યારે પહોંચેલા તંત્ર સુધી તમે લોકો પહોંચો જેથી કરીને પ્રજા કલ્યાણની યોજનાઓથી તમે વિમુખ ન રહો. આ રાત્રીસભા એટલા માટે છે કે દિવસે લોકો ધંધા,રોજગાર,ખેતી-પશુપાલન કે અન્ય કામોમાં પરોવાયેલા હોય છે. એટલે રાત્રે નિરાંતે સાંજે બધા મળી શકે તે આ રાત્રી ગ્રામસભાનો હેતુ છે.
આપણા ગામમાં શિક્ષણ,આરોગ્ય,રોડ-રસ્તા,પીવાના પાણી,યોજનાઓ કે પછી વિકાસના કામોમાં આપને પડતી મુશ્કેલીઓ તથા પ્રશ્નો હોય તો આપ નિસંકોચ આ ગ્રામ સભામાં રજૂ કરી શકો છો અને જિલ્લા તાલુકાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત છે જેની નોંધ લઇ સ્થળ પર જ પ્રશ્નોનો નિકાલ લાવી દેશો અથવા ખાતરી આપશો. સરકારશ્રીની ફ્લેગશીપ યોજનાઓને ગ્રામ્ય લેવલે અમલ થાય તે માટે સરકાર પણ ચિંતિત છે. ઇચ્છિત પરિણામો ન મળવાના કારણો તૃટિઓ કઈ રીતે દૂર કરી શકાય તેના સૂચનો ગ્રાઉન્ડ રિયાલીટીમાં શું મુશ્કેલીઓ પડે છે તે આ ગ્રામસભા થકી જાણી શકાય છે. ફિડબેક મેળવી તે સરકાર સુધી પહોંચાડવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ યોજના માટે પાત્રતા ધરાવતો હોય તે રહી ન જાય અને સો ટકા યોજનામાં સિદ્ધિ હાંસલ કરવાની આપણી નેમ છે. જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્વલા યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ, આયુષ્યમાન કાર્ડ, ઈ-શ્રમિક કાર્ડ આ ગામમાં ૬૭ જેટલા ઇ-શ્રમિક કાર્ડ એક જ દિવસમાં કાઢ્યા છે. પણ સો ટકા કાર્ડ નીકળે તેવી વ્યવસ્થા કરાઈ છે. જેનો સૌ લાભ ઉઠાવે.ગંગાસ્વરૂપ બહેનો પણ વિધવા પેન્શનનો લાભ ઉઠાવે. વૃદ્ધ પેન્શન યોજના પણ અમલી છે. ગોલ્ડ કાર્ડ દ્વારા લાભાર્થીને માંદગી વખતે પાંચ લાખ સુધીની મફત સારવાર, ઇ-શ્રમકાર્ડમાં આકસ્માત મૃત્યુના કિસ્સામાં રૂપિયા બે લાખનો વીમો લાભાર્થીને મળે છે.નવી ટ્રાયબલ વિસ્તારમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો પણ મહત્તમ લાભ ઉઠાવે. ૧૦૦૦ દિવસ સુધી સગર્ભા પ્રસુતિવાળી બહેનોને પોષણક્ષમ આહાર આપવામાં આવશે. તેમજ નવી પોષણ સુધા યોજનાનો પણ ગ્રામજનો લાભ ઉઠાવે. પાત્રતા હશે તો આપોઆપ મળશે.
આ ગ્રામસભામાં અકસ્માતમાં મૃત્યુ થયેલાને મરણનો દાખલો, મકાનની દિવાલ પડવી, સ્થાનિક માર્કેટમાં હરાજી બાબતે, પાણી પુરવઠા યોજના,રી-સર્વે, શૌચાલય, આવાસ યોજના, એપી.એલ ,બી.પી.એલ કાર્ડ, ફોરેસ્ટ, જમીન, વિજયનગર ખાતે આરામગૃહ, જમીન ધોવાણ, આઉટ પોસ્ટ પોલીસ ચોકી ખસેડીને આશ્રમમાં લાવવાની બાબત, ખેડૂત ખરાઈનો દાખલો, ધંધા-રોજગાર જેવા ગ્રામજનોએ પ્રશ્નો રજૂ કર્યા હતા. જેનો કલેકટરશ્રી દ્વારા સંબંધિત અધિકારીને સુચના આપી સ્થળ પર જ પ્રશ્નોનો નિકાલ કર્યો હતો.
અને ગ્રામજનોએ જિલ્લા કલેકટરશ્રી અને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત રહેવા બદલ આનંદ સાથે આભાર માન્યો હતો.
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધિરજભાઇ પટેલ પણ રજૂ થયેલા પ્રશ્નો અંગે ચોક્કસ માહિતી આપીને શું કરી શકાય તે અંગે સૂચનો રજૂ કર્યા હતા અને ગ્રામજનોને દરખાસ્ત લેખિતમાં કરવા જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહે જણાવ્યું કે આવાસ યોજનાના બાકી હપ્તા જમા નથી થયા તે અંગે જોવડાવીને લાભાર્થીના ખાતામાં જમા થઈ જશે. જેની ખાતરી આપી હતી. આ ગ્રામસભામાં આરોગ્ય વિભાગના અધિકારીશ્રીગઢવી દ્વારા આરોગ્ય યોજનાની વિસ્તૃત સમજ આપી યોજના પાત્રતા અને પ્રાપ્ત થતા લાભ વિશે વાત કરી હતી. અંતમાં આભાર દર્શન મામલતદારશ્રી વિજયનગરે કરી હતી.

