સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના રાજ્યોના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની પ્રથમ ‘રાષ્ટ્રીય પરિષદ’


પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વિશ્વમાં રમત-ગમત ક્ષેત્રે ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેના સામુહિક ચિંતન મંથન માટે દેશની સૌ પ્રથમ એવી રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની દ્વિ-દિવસીય પરિષદ સ્ટેચ્યુ ઓફ યુનિટી- એકતાનગર ટેન્ટસીટી ખાતે યોજાઇ હતી
દેશના વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના રમત-ગમત મંત્રીશ્રીઓ, રમત-ગમતના સચિવશ્રીઓ અને ભારત સરકારના સંબંધિત મંત્રાલયોના ઉચ્ચ અધિકારીશ્રીઓ આ પરિષદમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ રાષ્ટ્રીય પરિષદના બીજા દિવસે કેન્દ્રીય રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીશ્રી અનુરાગ સિંહ ઠાકુર, કેન્દ્રીય રમત-ગમત રાજ્યમંત્રીશ્રી નિશિથ પ્રમાણિક તેમજ ગુજરાતના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી વગેરેની ઉપસ્થિતિમાં આ પરિષદમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશા દર્શનમાં ભારતની ખેલ-કુદ ઇકો સિસ્ટમને વધુ સંગીન બનાવી ખેલ-કુદ વિશ્વના નકશે દેશને વઘુ ઉંચુ સ્થાન અંકિત કરાવવામાં આ રાષ્ટ્રીય પરિષદમાં થયેલું વિચાર-મંથન અને નિષ્કર્ષ અતિ મહત્વપુર્ણ બનશે.
શ્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના દિશા-દર્શનમાં ખેલો ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા, આંતરાષ્ટ્રીય યોગ દિવસ જેવા નવતર અભિગમ અપનાવ્યા છે.તેનાથી દેશમાં રમત-ગમત અને ફિટનેશ પ્રત્યેની એક આખી નવી જ લહેર ઉભી થઇ છે..ખેલાડીઓને અદ્યતન તાલીમથી સજ્જ થઇ વિશ્વ કક્ષાની રમતોમાં ઉજ્જવળ દેખાવ માટેની તકો પ્રાપ્ત થઇ છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં આદરણીય વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી ખેલ મહાકુંભની ઉત્તરોતર સફળતા અને રાજ્યમાં સ્પોટર્સ કલ્ચર ઉભુ થયું છે તેની વિસ્તૃત છણાવટ કરી હતી.
તાજેતરમાં ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી પણ લોન્ચ કરી છે આ ક્ષેત્રમાં વિકાસના આગામી તબક્કાઓમાં આ પોલિસી માર્ગદર્શન આપશે.
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી રમતવીરોને વૈજ્ઞાનિક તાલીમ આપવાનું એક સક્ષમ માધ્યમ બની છે અને સ્પોર્ટસ કારકીર્દી નિર્માણનું ક્ષેત્ર પણ બની છે. ગુજરાતમાં રમતગમતના લેન્ડસ્કેપના દરેક માળખાને સ્પર્શવા અને વાચા આપવા માટેના તમામ પ્રયાસો અમે કરી રહ્યા છીએ,એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
દેશના દરેક રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો પોતાનો અલગ, વૈવિધ્યસભર ખેલકૂદ વારસો, પારંપારિક રમતોની વિરાસત ધરાવે છે.વર્તમાન સમયની અદ્યતન ટેક્નોલોજી સાથે જોડીને તેને સમયાનુકુલ ઓપ આપવાની જરૂરિયાત છે.આ પરિષદનું સામૂહિક વિચાર-મંથન એ દિશામાં ઉત્તમ પ્લેટફોર્મ બનશે. ખેલાડીઓ, કોચ, ટ્રેનર્સ અને અન્ય લોકોને તેમની સાચી ક્ષમતાનો અહેસાસ કરવામાં મદદ માટે વૈજ્ઞાનિક રીતે તાલીમ અને વૈજ્ઞાનિક જ્ઞાન આપવાની જરૂર છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું
આ પ્રસંગે કેન્દ્રીય રમત-ગમત રાજ્યમંત્રીશ્રી નિશિથ પ્રમાણિકે જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કેન્દ્રના ખેલકુદ અને યુવા બાબતોના મંત્રાલય દ્વારા દેશની યુવા શક્તિ જોડીને મજબુત રાષ્ટ્રના નિર્માણમાં તેમનું યોગદાન વધારી યંગ ઇન્ડિયામાંથી સ્પોર્ટીંગ ઇન્ડિયામાં બદલાવ થાય તેવા સુચનો ગઇકાલના વિચાર મંથનમાં રજુ થયા હતા. જે ભવિષ્યમાં ખેલકુદ ક્ષેત્રે સમગ્ર ભારતમાં જરૂરી બદલાવ માટે ઉપયોગી બની રહેશે.તેમણે યુવાનોમાં રહેલી શક્તિઓને ખીલવવા માટે નહેરુ યુવા કેન્દ્ર, એન.એસ.એસ વગેરે જેવી સંસ્થાઓ દ્વારા થયેલી કામગીરીની આંકાડાકીય વિગતો રજુ કરી હતી
આ પ્રસંગે રમત-ગમત વિભાગના કેન્દ્રીય સચિવ શ્રીમતી સુજાતા ચતુર્વેદી અને કેન્દ્રીય યુવા બાબતોના સચિવશ્રી સંજીવકુમારે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા
આ રાષ્ટ્રીય પરિષદમાં કેન્દ્રીય રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીશ્રી અનુરાગ સિંહ ઠાકુર, ગુજરાતના રમત-ગમત, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી સહિત વિવિધ રાજ્યોના રમત-ગમત મંત્રીશ્રીઓ,ગુજરાતના રમત-ગમત અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવશ્રી અશ્વિનીકુમાર સહિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપરાંત વિવિધ રાજ્યોના રમત-ગમત અને યુવા પ્રવૃત્તિઓ વિભાગના સચિવશ્રીઓ, કમિશ્નરશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM