રૂ. ૧.૫૨ લાખનો સૌથી વધુ ફાળો સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં આપનારા વિથોણ વેપારી એસોશીએશનને કલેકટરશ્રી દ્વારા સ્મૃતિચિન્હ એનાયત

રૂ. ૧.૫૨ લાખનો સૌથી વધુ ફાળો સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં આપનારા વિથોણ વેપારી એસોશીએશનને કલેકટરશ્રી દ્વારા આજરોજ સ્મૃતિચિન્હ એનાયત કરવામાં આવ્યું હતુ. વિથોણ વેપારી એસોશીએશનના પ્રમુખશ્રી દિનેશભાઈને વર્ષ ૨૦૨૧-૨૨માં કચ્છ જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં સૌથી વધુ ફાળો આપનાર વિથોણ વેપારી એસોશીએશન વતી સૈનિકોની કલ્યાણ અર્થેની કામગીરીમાં સહભાગી બનેલ હતા જેના આભાર રૂપે દિનેશભાઈને સ્મૃતિચિન્હ એનાયત કરી જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે અને મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી ભરતસિહ ચાવડા દ્વારા વિથોણ વેપારી એસોશીએશન અને સમગ્ર ગ્રામજનોનો ખૂબ જ આભાર વ્યક્ત કરાયો હતો. આપણા જવાનો દેશ સેવાની ભાવના અપનાવી લડાઈના મોરચે પોતાના પ્રાણની પરવા કર્યા વિના કલ્પના ન કરી શકાય તેવી પરિસ્થિતિમાં અદભુત ખમીર બતાવી પવિત્ર માતૃભુમિના રક્ષણ કાજે શહીદ થવા,પોતાના ધૈર્ય અને સાહસથી ભારત દેશને અખંડિત રાખવા,આપણા ખમીરવંતા આદર્શો તેમજ ભદ્ર સંસ્કારોનું રક્ષણ કરવા, આપણને હર ક્ષેત્રે વિજયી બનાવી આપણા મસ્તક ઉન્નત રાખવા અને પોતે બધાજ દુ:ખો ભોગવીને આપણને સ્વતંત્રતાનું સુખ આપવા તત્પર રહે છે, તેઓના તથા શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરનાર વિથોણ વેપારી એસોશીશન અને સમગ્રગ્રામજનો સહભાગી થઇને રૂ. ૧,૫૨,૧૮૦/- (રૂપિયા એક લાખ બાવન હજાર એકસો એશી પુરા) જેવી માતબાર રકમ સૈનિક કલ્યાણ કચેરી, ભુજને રોકડમાં આપી હતી એમ મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

