ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ યોજાયો

નુક્કડ નાટક અને વીડિયો ફિલ્મના માધ્યમથી સરકારના વિદ્યુતક્ષેત્રની વિવિધ સિદ્ધિઓ વિશે માહીતી અપાઈ અને લાભાર્થીઓને વિના મૂલ્યે વીજજોડાણનાં પ્રમાણપત્ર એનાયત કરાયા

વીજળીના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી અંધારપટ દૂર થયો અને વિકાસનો પ્રકાશપૂંજ પથરાયો -જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજા

ગ્રામ્ય તેમજ શહેરી વિકાસમાં સરકારની વિદ્યુતક્ષેત્રની અને કર્મચારીઓની વિશિષ્ટ કામગીરીનું અભૂતપૂર્વ યોગદાનઃ પ્રાંત અધિકારી શ્રી જે.એમ.રાવલ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગીર સોમનાથનાં ઉનામાં ખોડલધામ, લેઉવા પટેલ સમાજની વાડી, ઉન્નતનગર ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય વીજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને સરકારની વિદ્યુતક્ષેત્રની અભૂતપૂર્વ સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવા માટે વીજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને બિરદાવી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,  બહેનોના રસોડાથી લઈને ખેડૂતોને સિંચાઈ સુધી તમામ તબક્કે વીજળીની જરૂરિયાત રહેલી છે. હવા, પાણી અને ખોરાકની જેમ હવે વીજળી પણ જીવનનો એક અભિન્ન ભાગ બની છે. આ ઉપરાંત તેમણે તાઉતે વાવાઝોડા સમયે વીજ કર્મચારીઓની ઝડપી અને સરાહનીય કામગીરીને બિરદાવી હતી અને ઉપસ્થિત લોકોને બિનજરૂરી લાઈટો બંધ કરવા, ઓછા વોલ્ટેજના બલ્બનો ઉપયોગ કરવા અને વીજળીનો વ્યર્થ ન કરવા માટે પણ અપીલ કરી હતી.

કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી જે.એમ.રાવલે કહ્યું હતું કે, જેમ કોરોના વોરિયર્સ કોરોનાના સમયમાં લડતા હતા એમ તાઉતેના સમયમાં વીજ વોરીયર્સ પણ સતત કાર્યરત હતાં. સોલર ઉર્જાનું મહત્વ સમજાવતા હાલના સમયમાં સરકાર વીજ સબસીડી પણ આપી રહી છે ત્યારે મહત્તમ ખેડૂતો આવી વીજ યોજનાઓનો લાભ લે તેવી વિનંતી કરી હતી

ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમ દરમિયાન વિવિધ રાજ્યોની વિદ્યુતક્ષેત્રમાં થયેલ પ્રગતિને દર્શાવતી ટૂંકી ફિલ્મો દર્શાવવામાં આવી હતી અને નુક્કડ નાટકના રગલા-રંગલી પાત્ર દ્વારા લોકોને સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જાની વિવિધ જાણકારી અને વીજળી બચાવવા માટેનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત લાભાર્થીઓને વિનામૂલ્યે ઘરગથ્થુ વીજજોડાણના પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યાં હતાં. સરકારના પ્રયાસોના લીધે લાભાર્થીઓએ વીજળીને લગતી વિવિધ યોજનાનો લાભ મળ્યો છે તે અંગેના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમમાં ઉના તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પાંચીબહેન સામતભાઈ ચારણિયા, ઉના નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જલ્પાબહેન જેન્તીભાઈ બાંભણિયા, પ્રાંત અધિકારી શ્રી જે.એમ.રાવલ સહિત પીજીવીસીએલ વિભાગના કર્મચારીઓ સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ વિવિધ ગામના સરપંચશ્રીઓ અને ગ્રામજનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM