દાહોદ-બોરડી ખાતે રૂ. ૫૮ કરોડના ખર્ચે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરતા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર

દાહોદનાં રેલ્વે સ્ટેશનને દેશના અગ્ર હરોળના રેલ્વે સ્ટેશનોમાં લાવવા કેન્દ્ર સરકાર કટિબદ્ધ – સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર

કમલમ દૈનિક રિપોર્ટ જતીન સોની દાહોદ

સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે દાહોદ બોરડી ખાતે ઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું છે. બોરડી ખાતે આજે સાંસદશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં પશ્વિમ રેલવે મંડલ પ્રબંધક દ્વારા દાહોદ બોરડી વચ્ચે સમપાર સંખ્યા ૪૮ ખાતે રૂ. ૫૮ કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં દાહોદનાં રેલ્વે સ્ટેશને જનસુવિધાઓ વધારીને દેશના અગ્રહરોળના રેલ્વેસ્ટેશનોમાં લાવવા માટે કેન્દ્ર સરકાર કામગીરી કરી રહી હોવાનું જણાવ્યું હતું.
જનસુખાકારીના કામો કરવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ હોવાનું જણાવતા સાંસદ શ્રી ભાભોરે કહ્યું કે, દેશના અગ્ર હરોળના ૧૨૩ રેલ્વે સ્ટેશનોમાં દાહોદનું રેલ્વે સ્ટેશન સ્થાન પામે એ માટે કેન્દ્ર સરકાર મદદ કરી રહી છે. બોરડી ખાતે રૂ. ૫૮ કરોડના ખર્ચે તૈયાર થનારા ઓવર બ્રિજથી લોકોની સુખાકારીમાં નોંધપાત્ર વધારો થશે. સામાન્ય માણસો ઓવરબ્રિજના અભાવે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખતે ઘર એક તરફ હોય છે અને રેલ્વેની બીજી તરફ ખેતરો હોય છે. દાહોદ નગરમાં ગોદી રોડ ઉપરની આવી સમસ્યાઓને ઓવરબ્રિજ બનાવીને દૂર કરાઇ છે.
જિલ્લામાં ઓવરબ્રિજની ખૂબ જરૂરિયાત હોય ત્યાં સત્વરે ઓવરબ્રિજ બનાવવાનું તેમજ જિલ્લામાં રેલ સુવિધાઓ વધારવા માટેની વાત કરતા સાંસદશ્રીએ જણાવ્યું કે, દાહોદ ઇન્દોર રેલ શરૂ થાય એ માટે પ્રધાાનમંત્રીશ્રીએ મંજૂરી આપીને ઝડપથી કામગીરી શરૂ કરાવી છે. રૂ. ૫૬૬ કરોડના ખર્ચે દાહોદ – કતવારા રેલ સુવિધાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે અને સત્વરે સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થતા તેનો લાભ લોકોને મળશે. દાહોદ રેલ્વે સ્ટેશન ઉપર વિકલાંગ, વૃદ્ધો, બિમારી લોકો સીડી ચઢી શકતા નથી. તેના માટે માંગણી કરવામાં આવી છે અને ટૂંકા ગાળામાં આ સમસ્યા નિવારવામાં આવશે.
તેમણે જિલ્લામાં અન્ય જનકલ્યાણના કામો પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયાસો સાથે ચાલી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. અહીંના વિસ્તારમાં રૂ. ૫ કરોડના ખર્ચે સિંચાઇ માટેનો ડેમ તેમજ તળાવો ભરવામાં આવશે. મોટા તળાવો પણ ભરવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હોય તે યોજનાઓના લાભ પણ ટૂંક સમયમાં લોકોને મળતા થશે તેમ સાંસદશ્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વજુભાઇ પણદા, જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, અગ્રણી શ્રી સુધીરભાઇ લાલપુરવાલા, શ્રી કનૈયાલાલ કિશોરી, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM