

સહકાર રાજયમંત્રીશ્રી તથા પ્રોટોકલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ સ્મૃતિવન, વડાપ્રધાનશ્રીના કચ્છ યુનિવર્સીટી ખાતેના સભાસ્થળ તથા સરહદ ડેરીની મુલાકાત લીધી
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમ અન્વયે આગામી સમયમાં કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કાર્યક્રમની ચાલતી તૈયારીઓના નિરીક્ષણ માટે આજરોજ સહકાર રાજયમંત્રીશ્રી તથા પ્રોટોકલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ કચ્છની મુલાકાત લીધી હતી. જે અંતર્ગત તેઓએ ભુજ ખાતે આકાર પામેલા અને વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ થનાર સ્મૃતિવન, વડાપ્રધાનશ્રીના કચ્છ યુનિવર્સીટીના સભામંડપ તથા ચાંદ્રાણી ખાતેના સરહદ ડેરીના પ્લાન્ટની મુલાકાત લઇને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરીને જરૂરી માહિતી મેળવી હતી .



રાજયમંત્રશ્રીએ સ્મૃતિવન ખાતે વિવિધ ગેલેરી,ચેકડેમ, બ્લોક વગેરેમાં થયેલા કામનું નિરીક્ષણ કરીને જાતમાહિતી મેળવી હતી. આ મુલાકાતમાં તેમણે કામગીરીની અનુલક્ષીને વિવિધ એજન્સી તથા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ સાથે બેઠક કરીને જરૂરી સુચનો આપ્યા હતા.



ભુજ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સીટી ખાતે સભાસ્થળ, પાર્કિંગ સહિતની ચાલતી તૈયારીનું નિરીક્ષણ કરીને જરૂરી સુચનો કર્યા હતા. તેમજ કાર્યક્રમના વ્યવસ્થાપન અંગે અધિકારીશ્રીઓ સાથે આ બાબતે ચર્ચા કરી હતી.



અંજાર તાલુકાના ચાંદ્રાણી ખાતેના કચ્છ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. સંચાલિત સરહદ ડેરીના દુધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું વડાપ્રધાનશ્રીના હસ્તે વચ્યુઅલ લોકાર્પણ થવાનું હોવાથી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ સરહદ ડેરીની મુલાકાત લઇને દુધનો પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ તથા કેટલ ફીડ પ્લાન્ટ નિહાળ્યો હતો. અહીં ચાલતી તમામ કામગીરી તેમજ દુધની પ્રોડકટ અંગે વિગતે માહિતી મેળવી હતી.



આ મુલાકાતમાં રાજયમંત્રીશ્રી સાથે કચ્છ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે, નિવાસી અધિક કલેકટરશ્રી મિતેષ પંડયા, ભુજ પ્રાંતશ્રી અતિરાગ ચપલોત, માર્ગ અને મકાન, ચીફ ઇજનેરશ્રી પટેલીયા, અધિક્ષક ઇજનેરશ્રી ચૌહાણ, કાર્યપાલક ઇજનેરશ્રી વી.એન.વાઘેલા, કચ્છ વિસ્તરણ વન વિભાગ-ભુજના નાયબ વન સંરક્ષક એચ.વી.મકવાણા, નાયબ વનસંરક્ષકશ્રી યુવરાજસિંહ ઝાલા, અગ્રણીશ્રી કેશુભાઇ પટેલ તથા અન્ય સંબંધિત વિભાગના સર્વશ્રી અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા.

