

વડોદરા શહેર પોલીસ કમિશનરે શહેરમાં ગણેશ મહોત્સવ દરમ્યાન સ્થાપના અને વિસર્જનના પ્રતિબંધોનું પાલન કરવા અંગે કાયદાની લાગુ પડતું જોગવાઈઓને અનુલક્ષીને પ્રતિબંધિત હુકમો કર્યા છે.શહેરમાં પાણી અને પર્યાવરણમાં થતાં પ્રદૂષણને અટકાવવાના હેતુથી ધાર્મિક પ્રસંગો દરમ્યાન દેવી દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં તેમજ વિસર્જનમાં જાહેર હિતમાં કેટલાક કૃત્યો કરવાની મનાઈ ફરમાવી છે.



પાણી તથા પર્યાવરણને તથા પ્રદૂષણને અટકાવવા અંગે વખતો વખતના ચુકાદાના નિર્દેશો તથા કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ઠરાવો તેમજ ગાઈડલાઈનને નક્કી કરવામાં આવી છે. તે મુજબ મૂર્તિની ડીઝાઈન, રચના અને ઉંચાઈ જે જાહેર જીવનની સલામતી માટે જોખમી છે, વી.એમ.સી. દ્વારા નક્કી કરેલ કુત્રિમ તળાવ સિવાયના અન્ય તળાવો ઉપર આયોજકોએ મૂર્તિઓનું વિસર્જન કરવા ઉપર, કલાકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યાએ તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવા ઉપર, કોઈપણ દેવી-દેવતાની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ કલાકારોએ વધેલ તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવા ઉપર, કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાન વાળી મૂર્તિઓ બનાવવા ખરીદવા તથા વેચાણ ઉપર, ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ સ્થાપના સ્થળો ખાતે મંડપો એક દિવસ કરતાં વધુ દિવસ સુધી રાખવા ઉપર, સ્થાપના/વિસર્જન સરઘસ યોજવા અંગેની પરવાનગીમાં દર્શાવેલ રૂટ સિવાયના અન્ય રૂટ ઉપર સ્થાપના/વિસર્જન સરઘસ યોજવા ઉપર, ગણેશજીની મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર અને ઓવારા વાઇઝ ઈશ્યુ કરેલા પાસ સિવાયના અન્ય ઓવારા ઉપર આયોજકોને મૂર્તિ વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ છે. વડોદરા શહેર વિસ્તારમાં ૧૫-૦૯-૨૦૨૨ સુધી આ હુકમનો અમલ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે.

