
:: મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ::
ગુજરાતની ‘બાયો ટેકનોલૉજી પોલીસી ૨૦૨૨-૨૭’ જેવી લાભદાયી નીતિઓના કારણે ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પૉલીસી 2.0’ માત્ર એન્જિનીયરની ડિગ્રી કે વિજ્ઞાન પૂરતી સીમિત ન રહેતાં તમામ ક્ષેત્રના લોકોએ ભાગ લીધો છે, જેના કારણે સ્ટાર્ટઅપની સંખ્યામાં વધારો થયો છે
‘માઈન્ડ ટુ માર્કેટ’ સુધીના વિચારને સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા નવીન ભવનનું નિર્માણ કરાશે, જ્યાં ૫૦૦ જેટલા સ્ટાર્ટઅપ્સ અને ડેવલપર્સ ૨૪ કલાક સુધી કામ કરી શકશે.

ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે આજે ૭૫ સ્ટાર્ટઅપ્સની બાયો-ઇન્ક્યુબેટર્સ અને બાયો-સ્ટાર્ટઅપ્સ અંગેની કોન્ક્લેવ યોજાઈ હતી. જેમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સ્ટાર્ટઅપ સાહસિકોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારીના કપરા કાળમાં બાયોટેકનોલૉજી ક્ષેત્રની ભૂમિકાને આપણે નજીકથી જોઈ છે. બાયોટેકનોલૉજીના મહત્વને ધ્યાને લઈ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ‘બાયો ટેકનોલૉજી પોલીસી ૨૦૨૨-૨૭’ અમલમાં મૂકી છે. આવી લાભદાયી નીતિઓના કારણે ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ‘‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી ૨.૦’’ એ પ્રાઇમરીથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના તમામ વિદ્યાર્થીઓ ઇનોવેશન કરી શકે તે માટે રૂ. ૨.૫૦ લાખ સુધીની સહાય રાજ્ય સરકાર આપી રહી છે. ‘માઈન્ડ ટુ માર્કેટ’ વિચારને મૂર્તિમંત કરવા રાજ્ય સરકાર દ્વારા નવીન એવા ભવનનું નિર્માણ કરાશે, જ્યાં ૫૦૦ જેટલા સ્ટાર્ટઅપ્સ અને ડેવલપર્સ ૨૪ કલાક સુધી કામ કરી શકશે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત ઉદ્યોગની ધરતી તરીકે ઓળખાય છે, પહેલા આપણે આફ્રિકા જઈને વેપાર કરવો પડતો હતો પણ આજે યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં ગુજરાતના ઉદ્યોગ સાહસિકો, ગુજરાતી ડાયસ્પોરા જોવા મળે છે. ધીરુભાઈ અંબાણી, કિરણ મજમુદાર, સાયરસ પૂનાવાલા, વિનુભાઈ જેવા ગુજરાતી ઉદ્યોગ સાહસિકોએ બાયોટેકનોલૉજી ક્ષેત્ર વિશેષ યોગદાન આપ્યું છે. આજે ટેકનોલૉજી આધારિત સ્ટાર્અપ્સના કારણે આપણે વિશ્વના ખૂણે-ખૂણે પહોચ્યાં છીએ. દેશને મહામારીમાંથી બહાર કાઢવામાં બાયોટેકનોલોજીનું બહુ મોટું યોગદાન રહ્યું છે. બાયોટેકનોલોજીનું વિજ્ઞાન આપણને તમામ ક્ષેત્રના પ્રશ્નો માટે ઝડપી નિરાકરણ લાવવામાં મદદરૂપ બની રહ્યું છે.
મંત્રીશ્રીએ આ પોલિસી વિશે વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, બાયોટેકનોજી પૉલીસી ૨૦૨૨-૨૭ હેઠળ મૂડી રોકાણ માટે ૨૦૦ કરોડની ટોચ મર્યાદા સાથે ૨૫% લેખે કેપિટલ સબસિડી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત ૧૫% લેખે વાર્ષિક રૂપિયા ૨૫ કરોડની મર્યાદામાં સીધી સહાય કરવાની પણ આ પોલીસીમાં જોગવાઈ છે. રૂા.૧૦૦ કરોડ સુધીની ટર્મ લોનને સહાયરૂપ થવા માટે વાર્ષિક ૭% લેખે અને રૂ. ૭ કરોડની વાર્ષિક મર્યાદામાં ૩% વ્યાજની જોગવાઈ પણ આ પોલિસીમાં કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સંશોધન એક કાયમી પ્રક્રિયા છે, તે થતું પણ રહ્યું છે અને આપણે એમાં નિમિત પણ થયા છીએ. માત્ર વૈજ્ઞાનિકો જ આ કાર્યમાં આગળ વધી શકે એ શક્ય નથી, તેના માટે નવી ટેકનોલોજી તથા નિવેશ સાથે સ્ટાર્ટઅપ સાહસિકોની પણ જરૂરિયાત છે. સ્ટાર્ટઅપ થકી આપણે દેશના જ નહીં પણ આખી દુનિયાના લીડર બનવા જઈ રહ્યા છીએ. મંત્રીશ્રીએ ઉપસ્થિત ૭૫ સ્ટાર્ટઅપ્સને બાયોટેકનોલોજી પોલીસી ૨૦૨૨-૨૭નો લાભ લેવા માટે ખાસ અનુરોધ કર્યો હતો.
આ કોન્ક્લેવમાં ‘નર્ચરીંગ ડીપ ટેક સ્ટાર્ટઅપ્સ ઇન ગુજરાત’, ‘વ્હોટ સ્ટાર્ટઅપ્સ વૉન્ટ..? ફ્યુચર ડિરેક્શન ફોર બાયો-ઇન્ક્યુબેશન’ તથા ‘ઓવરકમિંગ ઇમ્પોર્ટન્ટ ચેન્જીસ ઑફ બીટી સ્ટાર્ટઅપ્સ’ જેવા ટેકનિકલ સેશન્સમાં વિવિધ તજજ્ઞો દ્વારા પેનલ ચર્ચાઓ યોજાઈ હતી. કોન્ક્લેવના અંતે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફન્ડિંગના ચેરમેન શ્રી એચ. કે. મિત્તલે જરૂરી માહિતી પૂરી પાડી હતી.
આ કોન્ક્લેવમાં ગુજરાત રાજ્ય બાયોટેકનોલૉજી મિશનના મિશન ડાયરેક્ટર સુશ્રી ગાર્ગી જૈન, એડિનબર્ગ યુનિવર્સિટી તથા ગુજરાત બાયોટેકનોલૉજી યુનિવર્સિટીના પ્રોફેસર પીટર ડૉર્નર, CSIRના સંશોધનવડા અને વેન્ચર સેન્ટરના સ્થાપક નિયામક ડૉ. વી. પ્રેમનાથ તથા સાવલી ટેકનોલૉજી અને બિઝનેસ ઇન્ક્યુબેટરના નિયામક ડૉ. એ. એન. ભાદલકર ઉપસ્થિત રહ્યાં હતાં.

