

રિપોર્ટ : ચિરાગ પાંડેય
દર વર્ષની જેમ શરણાઈ અને વાજિંત્રોના તાલે પાલખીમાં બિરાજીને શ્રીજીની સવારી રાજમહેલમાં પહોંચી
વડોદરામાં આજથી ગણેશ મહોત્સવનો ઉત્સાહભેર ઉજવણી શરૂ થઈ છે ત્યારે વડોદરાના પરંપરાગત રાજવી પરિવારના ગણેશજીની સવારીએ આજે આકર્ષણ જમાવ્યું હતું. શરણાઈના સુરે શ્રીજીની પ્રતિમા લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં રાજપુરોહિત દ્વારા વિધિવત પૂજા કરીને શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી.
વડોદરા અને ગણેશ ઉત્સવનો અનેરો નાતો છે. વડોદરામાં અનેક એવા મંડળો છે જ્યાં ભગવાન ગણેશજીની સ્થાપના બાદ દૂર દૂર થી લોકો દર્શન માટે આવતા હોય છે. જેમાં રાજવી પરિવારના ગણેશજીની પ્રતિમાનો પણ સમાવેશ થાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શરણાઈ અને વાજિંત્રોના તાલે પાલખીમાં બિરાજીને શ્રીજીની સવારી રાજમહેલમાં પહોંચી હતી. જ્યાં રાજવી પરિવાર દ્વારા શ્રીજીનું સ્વાગત કરવામા આવ્યું હતું. લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે શોભાયાત્રા પહોંચ્યા બાદ દરબાર હોલમાં મૂર્તિના શણગાર શરૂ કરવામાં આવ્યા હતા. હીરા માણેક જડેલા મુકુટ અને એક કિલોના વજનના હાર સહિત સોના ના દાગીના સાથે ગણેશજીના શણગાર કરવામાં આવ્યા હતા. જે બાદ રાજવી પરિવારના રાજપુરોહિત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.

