


કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
જીએનએફસી સમાજ ઉપર હકારાત્મક અસરો પાડવામાં માને છે અને સમાજના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ છે. જીએનએફસી તેના CSR વિભાગ-નર્મદાનગર રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી (નારદેસ) મારફતે સામાજીક વિકાસની અનેક કામગીરીઓ કરી રહી છે. વૃદ્ધિ અને વિકાસ માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત હોવાનું સર્વમાન્ય છે. ગ્રામ્ય વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ અને શાળાઓની અપૂરતી સંખ્યા તથા તેમાંની માળખાકીય સુવિધાઓ અને સંશાધનોની અછતને કારણે આવી શાળાઓમાં પ્રવેશ માટે ઓછો ઉત્સાહ (નિરસતા) જોવા મળે છે તેમજ આવી શાળાઓના બાળકોમાં ડ્રોપ આઉટનું વધારે પ્રમાણ જોવા મળે છે.જીએનએફસીએ હલદરવા અને રહાડપોર ગામની સરકારી શાળાઓમાં વધારાના ક્લાસરૂમોનું બાંધકામ કરી આપીને, આ શાળાઓની માળખાકીય સુવિધાઓમાં વધારો કર્યો છે. આવી શાળાઓમાં બાંધવામાં આવેલ ક્લાસરૂમનું ઉદ્ઘાટન ભરૂચ જીલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરી,IAS દ્વારા તા.12મી સપ્ટેમ્બર, 2022ના રોજ કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં વિવિધ સરકારી પદાધિકારીઓ અને જીએનએફસીના જનરલ મેનેજર (HR) શ્રી પંકજ સનાધ્યા અને શ્રી નિતેશ નાયક (મેનેજર-CSR) ઉપસ્થિત રહ્યા હતા.આવી શાળાઓમાં કરવામાં આવેલ વિકાસ, શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો બન્ને માટે લાભદાયી રહેશે. વિદ્યાર્થીઓ પાસે ભણવા માટે સારી અને વધારે જગ્યા રહેશે. પૂરતા પ્રમાણમાં ક્લાસરૂમ હોવાને કારણે વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી શાળામાં રહેવા પ્રેરાશે અને આનંદદાયક રીતે અભ્યાસ કરવામાં તેઓને મદદ મળશે જેનાથી શિક્ષણ સરળ બનતાં, શિક્ષણનો વ્યાપ વધશે. શિક્ષણનો વ્યાપ વધારવા માટે સારી માળખાકીય સુવિધાઓ અતિ આવશ્યક છે.
