



રિપોર્ટ : ચિરાગ પાંડેય
સંકલ્પ દિવસ નિમિત્તે આજે કમાટીબાગ ખાતે મેયરે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
વડોદરાના મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, બાબા સાહેબ આંબેકડરને નોકરીમાં જે અનુભવો થયા તે પછી જ્યારે વડોદરા છોડી મુંબઇ તરફ રવાના થતાં હતા ત્યારે ટ્રેન મોડી પડી હતી. જેથી ડૉ. બાબા સાહેબ આંબેડકર કમાટીબાગમાં બેઠા અને તેમણે મનોમંથન તેમજ ચિંતન કર્યું એ ભારત દેશના લાખો ગરીબોના જીવનમાં બદલાવનું કારણ બન્યું. તેમણે જે સંકલ્પ લીધો કે ગરીબોના ઉત્થાન માટે બાકીનું જીવન હું લગાવી દઇશ, દલિતોને આગળ વધારવા માટે જીવનભર કામ કરીશ. જો પોતે આટલા ભણેલા હોય છતાં તેમની સાથે આવો વ્યવહાર થતો હોય તો જે ભણેલો વર્ગ નથી તેમની સાથે કેટલો અન્યાય થતો હશે? આ વિચાર, આ સંકલ્પ સાથે જ્યારે તેઓ આગળ વધ્યા. આ સંકલ્પ બાબા સાહેબે કમાટીબાગમાં લીધો હતો. કમાટીબાગની આ જગ્યાને સંકલ્પ ભૂમી તરીકે ઓળખવામાં આવે છે. તેમજ આ દિવસને સંકલ્પ દિવસ તરીકે ઓળખવામાં આવે છે.શહેરના કમાટીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને યાદ કરી આ કાર્યક્રમમાં મેયર કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, ભાજપના મહાનગર અધ્યક્ષ ડો.વિજય શાહ, શહેર ભાજપ મહામંત્રી રાકેશ સેવક, પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવત, પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત રાજકીય આગેવાનો, પદાધિકારીઓ કોર્પોરેટરો અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
