


જળક્રાંતિ ટ્રસ્ટના આર્થિક સહયોગથી અને આદિવાસી પ્રજાના શ્રમદાનથી સરકારી સહાય વગર ગામ ભેખડીયા, તાલુકો કવાંટ, જીલ્લો છોટાઉદેપુર અને ગામ જામલી, જીલ્લો આલીરાજપુર મધ્ય પ્રદેશને ભારતના પ્રથમ દિવ્યગ્રામો બનાવવામાં આવ્યા છે. જળક્રાંતિ, ગોક્રાંતિ, અને ગાય આધારિત કૃષિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયાએ ત્રણ વર્ષ ફેક્ટરી ઘર છોડીને આદિવાસી ગામોમાં વાંસની ઝૂંપડીમાં નિવાસ કરીને આદિવાસીઓના દાળ રોટલા ખાઈને સર્વાંગી વિકાસના વિશ્વ પ્રેરક દિવ્યગ્રામો નિર્માણ કર્યા છે. તારીખ 26 સપ્ટેમ્બરના રોજ ભારત સરકારના
મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા ભેખડીયા આવ્યા હતા. સરકારી સહાય વગર શ્રમદાનથી 100 વર્ષ ટકાઉ ૮૫ ચેકડેમ તળાવ નિર્માણ કરવામાં આવ્યા છે. 15 ફૂટ ઊંચા ચેકડેમ અને 30 ફૂટ ઊંડા તળાવો માત્ર 7 થી 15 લાખ રૂપિયામાં નિર્માણ કર્યા છે. તજજ્ઞ ઈજનેરોના મતે આવા તળાવ બનાવવામાં સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ થાય. જામલીના પહાડો માં પાંચ કિલોમીટર લાંબી વિશિષ્ટ ટ્રેન્ચ પાળાઓ બનાવીને પહાડનું પાણી અને માટી પહાડમાં જેવી રાષ્ટ્રપ્રેરક નવી જળ યોજના તૈયાર કરવામાં આવી છે. બંને ગામોને સંપૂર્ણ ગાંડા બાવળ મુક્ત કરીને 5000 ફળઝાડનું વાવેતર કરવામાં આવેલ છે. 2030ની સાલમાં ભેખડિયા અને જામલી દેશના લોકોને 100 પ્રકારની ઉત્તમ જાતની દેશી કેરી ખવડાવશે. યોજના પહેલા ભેખડિયા અને જામલીમાં એકરે બે થી દસ હજાર રૂપિયાનું વાર્ષિક ઉત્પાદન મળતું હતું, ત્યાં જળરક્ષાથી એકરે 25,000 થી 1 લાખ રૂપિયાનું ઉત્પાદન મળે છે. પહાડોમાં આવેલા ખેતરોમાં રસ્તાના અભાવે આદિવાસીઓ માથા ઉપર અનાજ, ઘાસચારો, સામાન ઊંચકીને લાવતા હતા, ત્યાં 15 કિલોમીટરના રસ્તાઓ નિર્માણ કરવામાં આવ્યા છે. જળસંકટ અને કૃષિવિકાસના અભાવે ગામની ૭૫ ટકા વસ્તી રોજગાર માટે સૌરાષ્ટ્રમાં ખેતીની મજૂરી માટે જતી હતી, એ લોકોને હવે ગામમાં જ રોજગારી મળે છે. ત્રણ રાજ્યમાં આદિવાસીઓમાં માનતાના નામે ડુંગરાઓ બાળવાની ભયાનક કુપ્રથાનો મનસુખભાઈ સુવાગીયાની પ્રેરણાથી અંત આવ્યો છે. અને ભેખડીયા- જામલી દારૂ, તમાકુ, ગુટખા, શિકાર, બલીપ્રથા મુક્ત શાકાહારી ગામો બન્યા છે. વ્યસન મુક્તિથી વાર્ષિક દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ અટક્યો છે. સંપૂર્ણ શાકાહારી આદિવાસી ગામ જીવસૃષ્ટિ રક્ષાના વિશ્વપ્રેરક તીર્થ બન્યા છે.
ભેખડીયા અને જામલીમાં ત્રાસદાયક ડીજે સાઉન્ડ અને ફટાકડાનો પ્રતિબંધ મુકાયો છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ત્રણ રાજ્યોમાંથી આવેલા 5000 આદિવાસીઓ અને ૧૦૦ સંતોને મનસુખભાઈ સુવાગીયાએ સંપૂર્ણ દારૂ- તમાકુ -ગુટખા અને હિંસા મુક્તિનો, દિવ્યગ્રામ નિર્માણનો, સંસ્કૃતિધર્મનો અને રાષ્ટ્રધર્મનો ઐતિહાસિક સંકલ્પ લેવડાવ્યો હતો. પરસોત્તમભાઈ રૂપાલાએ ચેકડેમ યોજના, કાંકરેજ ગાયોની ગૌશાળા, સરકારી સહાય વગર ચાલતી 300 વિદ્યાર્થીની આદિવાસી છાત્રાલય, વૃક્ષારોપણના દર્શન કર્યા હતા. રૂપાલાજીએ પોતાના પ્રેરક પ્રવચનમાં જણાવેલ કે, મનસુખભાઈ સુવાગીયાએ દેશને જળક્રાંતિ, ગીર કાંકરેજ ગાય ક્રાંતિ, ગાય આધારિત કૃષિ પછી દિવ્ય ગ્રામ યોજના રૂપે વિકાસની એક નવી જ યોજના દેશને આપી છે. મનસુખભાઈની રાષ્ટ્રસેવા અનુકરણિય અને અભિનંદનને પાત્ર છે. માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્ર ભાઈ મોદીને આદિવાસી પ્રજાના આ નવસર્જનનો સંદેશો આપાશે. ભેખડીયા અને જામલીના રસ્તે વિકાસ કરીને આપણે સૌ સાથે મળીને ભારતના ગામનો વિકાસ કરીએ. અંતમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કરકમલે દિવ્યગ્રામ યોજના રાષ્ટ્રને સમર્પિત થાય એવી લાગણી મનસુખભાઈ સુવાગીયા અને પરસોત્તમભાઈ રૂપાલાએ વ્યક્ત કરી હતી. આ સંમેલનમાં છોટાઉદેપુરના સંસદ સભ્ય ગીતાબેન રાઠવા, પૂર્વ સાંસદ રામસિંગ રાઠવા, જિલ્લા અને તાલુકાના આગેવાનોએ રૂપાલાજીનું આદિવાસી પરંપરા મુજબ સન્માન કર્યું હતું. મહેમાનો અને દાતાઓનું ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ગ્રંથ અને દિવ્ય ગ્રામ ગ્રંથથી સન્માન કરવામાં આવ્યું હતું .આદિવાસી આગેવાન રતન ભગત રાઠવા અને જે ડી રાઠવાએ સ્વાગત પ્રવચન અને આભાર વિધિ કર્યા હતા.

