કોરોના વાયરસની મહામારી સામે દેશ સહિત રાજ્ય લડત આપી રહ્યું છે. ત્યારે કોરોનાવાયરસને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા કલેકટર શ્રી આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોના સામેની લડતમાં જિલ્લા તંત્ર સતર્ક રહીને કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર એસ. બી. શાહે લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે સેન્ટરના તબીબો અને કર્મચારીઓ સાથે વાહક જન્ય રોગો અંગેની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ડૉ. એસ. બી. શાહ દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના તમામ વાહકજન્ય રોગો અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષા કર્યા બાદ આ રોગોને નિયંત્રણમાં રાખવા માટેના જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

