
હિંમતનગરના દલપુરમાં કુલ ૧૪.૮૨ લાખની પાણીની નવીન યોજનાને મંજુર કરાઇ
સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
ગ્રામીણ પેયજળ કાર્યક્ર્મ અંતર્ગત અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ ૧૧૮૫ યોજનાઓને ૨૪૬૯૫.૪૯ લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી ૮૦૦ યોજનાઓની કામગીરી ૮૮૫૭.૦૦ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે. અને ૩૦૧ યોજનાનું અમલીકરણ પાણી સમિતિ દ્વારા પ્રગતિમાં છે.
ઇડરના વિરપુર ખાતે નવ નિયુક્ત જવાહર નવોદય વિધ્યાલયમાં રૂ.૫.૦૭ લાખના ખર્ચે તૈયાર થનાર ૧ લાખ લીટર પાણીનો સંપની કામગીરી પૂર્ણ કરાઇ છે. ઉપરાંત બેઠકમાં હિંમતનગરના દલપુરની પાણીની માંગણી સામે કુલ ૧૪.૮૨ લાખની નવીન યોજનાની વહિવટી મંજુરી આપવામાં આવી છે.
જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં ૧૮૭ યોજનાની સુધારેલી વહીવટી મંજૂરી આપવા રજૂઆત કરાઈ હતી. જેમાં પ્રાંતિજની એક, તલોદની બે, ઇડરની ચાર, ખેડબ્રહ્માની ૪૮,પોશીનાની ૫૫, અને વિજયનગરની ૭૭ એમ કુલ ૧૮૭ પાણીની યોજનાઓ પુન:વિચારણા અર્થે રજુ કરાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહ, પ્રોગ્રામ ઓફિસરશ્રી આઇ.સી.ડી.એસ, જિલ્લા આયોજન અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારીશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રી જાહેર આરોગ્ય, બાંધકામ વિભાગ, કાર્યપાલક ઇજનેરશ્રી VGVC તથા સમિતિના અમલીકરણ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
