કેશુભાઈ પટેલના નિધનના સમાચાર મળતા જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ચૂંટણી પ્રચાર ટૂંકાવી સીધા જ ગાંધીનગર રવાના થયા
સંપૂર્ણ રાજકીય સન્માન સાથે બાપાના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય મુખ્યમંત્રી રૂપાણીએ કર્યો: કેશુબાપાને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ સ્વ.કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપ સુધી વટવૃક્ષ ઊભું કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વકર્તા ગણાવ્યા હતા. થોડા સમય પહેલાં કેશુબાપાએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવતાં તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કેશુભાઈ પટેલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમ ક્વોરન્ટીન થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુબાપાના પુત્ર સાથે વાત કરી અને સારવારમાં કોઈ કચાસ નહીં રહે એવી ખાતરી આપી હતી.કેશુભાઈ પટેલના નિધનના સમાચાર મળતા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી પ્રચાર ટૂંકાવી સીધા જ ગાંધીનગર રવાના થયા હતા, જેઓ ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસસ્થાને જઈ શ્રદ્ધાંજલી પાઠવશે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે બાપાના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો હતો. ભાજપના વરિષ્ઠ આગેવાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય કેશુભાઈ પટેલના નિધનનો શોક વ્યક્ત કરતાં ભાજપે પેટાચૂંટણી સંબંધિત આજની તમામ જાહેરસભાઓ તેમજ પ્રચારકાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

