
રિપોર્ટ , મયુરપટેલ
દેશની રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાનમાં આયોજિત ‘વર્લ્ડ બૂક ફેર’માં ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના રાષ્ટ્રીય મીડિયા પ્રમુખશ્રી ધવલ પટેલ દ્વારા લિખિત ‘ભારત કે જનજાતીય ક્રાંતિવીર’ પુસ્તકનું વિમોચન દેશના કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રીશ્રી જી. કિશન રેડ્ડી જી દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદશ્રી સમીર ઉરાંવ, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષશ્રી પ્રિયંક કાનુન્ગો, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્યશ્રી અનંત નાયક, કેન્દ્રીય માહિતી કમિશનર, લેખક અને ઇતિહાસકારશ્રી ઉદય મહુરકર, ટ્રાઈફેડના અધ્યક્ષશ્રી રામસિંહ રાઠવા અને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી અભિનવ પ્રકાશ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે કિશન રેડ્ડીજી એ જણાવ્યું હતું કે, ભારત સરકાર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ઘણા ભૂલાયેલ નાયકોને પણ યાદ કરવામાં આવી રહ્યાં છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા સમગ્ર દેશભરમાં ૧૦ ટ્રાઈબલ મ્યુઝિયમ ખોલવાનું કામ કરી રહી છે.આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત ઉજવાયેલા આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને લેખક ધવલ પટેલે આ પુસ્તકમાં ૭૫ આદિવાસી ક્રાંતિકારીઓનો સમાવેશ કર્યો છે. આ એવા લોકો છે જેમને કાં તો ઇતિહાસ ભૂલી ગયો છે અથવા તો તેમને ઈતિહાસમાં જે સ્થાન મળવું જોઈતું હતું તે નથી મળ્યું. આ પુસ્તક આવાં ક્રાંતિવીરોની વીરગાથા, સંઘર્ષને રજૂ કરે છે. આ પુસ્તકમાં ગુજરાતનાં પ્રમુખ લોકો જેમ કે જોરીયા ભગત, મોતીલાલ તેજાવત તેમજ માનગઢ ધામનાં આદિવાસીઓનો સંઘર્ષનો પણ ઉલ્લેખ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત ચૂંટણી સમયે દક્ષિણ ગુજરાતમાં આયોજિત ભાજપની ગુજરાત આદિવાસી ગૌરવ યાત્રાના ઉદ્ઘાટન પ્રસંગે ધવલ પટેલની પુસ્તકનું દેશના ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
