
રિપોર્ટ,મયુરપટેલ
સુરત જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાન મિશન મોડ પર ચાલી રહ્યું છે

સુરત પાંજરાપોળ દ્વારા કામરેજ તાલુકાના ખેડૂતોને રાહતદરે જીવામૃત આપવામાં આવી રહ્યું છે

રાજ્યના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ‘મિશન મૉડ’ પર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરાયું છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધલા, વલથાણ, ટીંબા, સેગવા ગામે તથા બારડોલી તાલુકાના હિડોલીયા, ઉમરપાડા તાલુકામાં ચારણી ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ હતી.

વધુ વિગતો આપતા કામરેજ તાલુકાના વિસ્તરણ અધિકારી (ખેતી)શ્રી હિરેન બારોટે જણાવ્યું હતું કે, ખેડૂતોને જીવામૃતનું વિતરણ કરી કૃષિપાકોમાં છંટકાવ કરવાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે. કામરેજ તાલુકાના છ ગામોમાં એક અઠવાડિયા દરમિયાન ૪૫૦૦ લિટર જેટલું જીવામૃત ખેડૂતોને રાહતદરે સુરતની પાંજરાપોળમાંથી લાવીને ગ્રામ સેવકોના સહયોગથી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમ જેમ ખેડૂતોના ઓર્ડર મળી રહ્યા છે તેમ તેમ ખેડૂતોને જીવામૃત પહોચતુ કરવામાં આવી રહ્યુ હોવાનું તેમણે કહ્યું હતું. ખેડૂતોની સમૃધ્ધિ અને લોકોના સુખી અને તંદુરસ્ત જીવન માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય બની છે, ત્યારે ગામે-ગામ ખેતીવાડી, બાગાયત, આત્મા, પશુપાલનના અધિકારીઓ માસ્ટર ટ્રેનરો સાથે પ્રાકૃતિક તાલીમ શિબિર યોજવામાં આવી રહી છે. ખેડૂતોને પ્રત્યક્ષ જીવામૃત, ઘનજીવામૃત જેવા પ્રાકૃતિક કિટનાશકો બનાવવાની તાલીમ અપાઈ રહી છે. ગામદીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે માસ્ટર ટ્રેનરોને સાથે રાખીને અધિકારીઓ ગામડાઓ ખુંદી રહ્યા છે. આમ, સુરત જિલ્લાના ખેડૂતોને રાસાયણિક ખેતીને તિલાંજલી આપી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બનાવવા પ્રેરિત કરાઈ રહ્યા છે.
