રેલ્વે સમગ્ર દેશને જોડતો પરિવાર છે – મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ૫૦૮ રેલવે સ્ટેશનોના ઈ-લોકાર્પણ અન્વયે રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનુ ૨૬.૮૧ કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ‘‘અમૃત ભારત સ્ટેશન યોજના’’ અંતર્ગત ૫૦૮ રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં રાજકોટ સ્થિત ભક્તિનગર રેલવે સ્ટેશનનો ૨૬.૮૧ કરોડના ખર્ચે નવીનીકરણના શિલાન્યાસનો પણ સમાવેશ થાય છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રેલ્વે પરિવાર સમગ્ર દેશને જોડતો પરિવાર છે.  કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી આસામને જોડનાર રેલ્વે હંમેશા નાગરિકોની મુસાફરી માટે મદદરૂપ બની છે. આજના આ ભક્તિનગર રેલ્વે સ્ટેશનના નવીનીકરણના શિલાન્યાસના લીધે રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોનો માનવ સમય, પૈસા બચશે અને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થશે.

આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા અને શ્રી રામભાઈ મોકરીયા, મેયરશ્રી પ્રદીપ ડવ, ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ વગેરે પ્રાસંગિક પ્રવચનમાં સૌરાષ્ટ્રને મળેલ રેલવેની આધુનિક સુવિધાઓ પ્રદાન કરવા બદલ વડાપ્રધાનશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

આ તકે મહાનુભાવોનો પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.રાજકોટના રેલ્વે ડિવિઝન રેલ્વે મેનેજરશ્રી અશ્વિની કુમારે સ્વાગત ઉદબોધન કર્યું હતું.  સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાયા બાદ વિવિધ પ્રતિયોગિતાના રેલવે સ્ટાફના વિજેતા બાળકોને મહાનુભાવો દ્વારા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ રેલવેને લગતી લઘુ ફિલ્મ નિહાળી હતી.

ઉલ્લેખનીય છે કે ભારતની આઝાદીના અમૃત કાળમાં “‘અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના” હેઠળ દેશભરના પ્રમુખ ૧૩૦૦ રેલવે સ્ટેશનોમાં  ૫૦૮ રેલવે સ્ટેશનના વૈશ્વિક સ્તરીય રેલ્વે સુવિધાઓ ઉભી કરવાની દિશાનુ આ મહત્વપુર્ણ પગલુ છે, જેમાં રાજકોટના ભક્તિનગર રેલ્વે સ્ટેશનને રૂ. ૨૬.૮૧ કરોડના ખર્ચે પ્રવાસીઓની સુવિધા વધારવા માટે સ્ટેશનો પર પ્રવેશદ્વાર અને નિકાસની અલગ-અલગ વ્યવસ્થા તેમજ દિવ્યાંગજનો માટે અનુકૂળ અને ગ્રીન બિલ્ડીંગ ધોરણોને અનુરૂપ સુવિધાઓથી સજજ કરવામાં આવશે.  સ્ટેશન પર મોડ્યુલર શૌચાલય અને પ્લેટફોર્મ પર વધારાના નવા કવર શેડ સ્થાપિત કરવામાં આવશે. ટ્રેનના ઈંડિકેટર બોર્ડ અને ટ્રેન સંબંધિત માહિતી કોન્કોર્સ હોલ, પ્લેટફોર્મ અને વેઇટિંગ રૂમમાં પ્રદર્શિત કરવામાં આવશે. અહીં ૧૨ મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે જે મુસાફરોને સર્ક્યુલેટિંગ એરિયામાંથી પ્લેટફોર્મ નંબર ૧ અને ૨ સુધી આવવા જવા માટે ઉપયોગી થશે.તથા નવી પેસેન્જર લિફ્ટ પણ મુકવામાં આવશે. સર્ક્યુલેટિંગ એરિયામાં સેલ્ફી પોઈન્ટ અને પાર્કિંગની વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ સ્ટેશન તરફ જતા રસ્તાઓને પણ નવા અને સારા બનાવવામાં આવશે.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, ડે. મેયરશ્રી કંચનબેન સિધ્ધપુરા, એ.પી.એમ.સી. ચેરમેનશ્રી જયેશભાઈ બોઘરા, કલેક્ટરશ્રી પ્રભવ જોશી, અગ્રણી શ્રી કમલેશભાઈ મીરાણી, સમગ્ર રેલ પરિવાર અને બહોળી સંખ્યામાં લોકો ભક્તિનગર રેલ્વે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા તેમજ કેન્દ્રીય રેલવે, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રૌદ્યોગિક મંત્રીશ્રી અશ્વિન વૈષ્ણવ, રેલવે કોલસા અને ખાણ રાજ્યમંત્રીશ્રી રાવ સાહેબ પાટીલ દાનવે, રેલ્વે તથા કાપડ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોષ સહિતના અધિકારીઓ ઓનલાઇન આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM