
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે અમરાપુર શૈક્ષણિક સંસ્થા ખાતે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રીસ જેટલા નિષ્ણાંત ડોક્ટરોએ સેવા આપી હતી.

આ કેમ્પમાં નિષ્ણાંત જનરલ ફિઝિશિયન, જનરલ સર્જન, આંખના નિષ્ણાંત, ચામડીના રોગો, હાડકાના રોગો , કાન,નાક ગળાના રોગો, બાળ રોગોના, ફિઝીયોથેરાપિસ્ટ, સ્ત્રીરોગો, દાંતના રોગો, કેન્સરના રોગોના નામાંકિત સર્જન ડોકટરો દ્વારા શારીરિક તપાસ, દવાઓ, સારવાર અને નિદાન કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત હાઈપર ટેન્શન, ડાયાબિટીસ,બ્લડપ્રેશર અને હ્રદય રોગ તથા ટી.બી.,દમ અને ફેકસાના રોગોના સહિતના રોગોની સારવાર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ કેમ્પનો જસદણ, વિંછીયા તાલુકાના ૧૦૫ ગામમાંથી આશરે ૨૦૦૦થી વધુ લોકોએ લાભ લીધો હતો. તેમજ ૨૨ પ્રકારની અલગ અલગ લેબ તપાસ કરાવાઈ હતી.

આ કેમ્પમાં જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીઓ,જસદણ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.સી.કે. રામ, વિંછીયા તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. રાજા ખાંભલા સહિતના આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
