

વિધ્યાર્થીઓએ આચાર્ય, અધ્યાપક અને સેવકની ભૂમિકા નિભાવી

સરકારી વિજ્ઞાન કૉલેજ, થરાદ ખાતે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતિય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ૫ સપ્ટેમ્બર ની યાદમાં શિક્ષકદિન ઉજવવામાં આવ્યો હતો. પ્રિ. ડો. જગદીશ એચ. પ્રજાપતિની પ્રેરણા અને માર્ગદર્શનમાં એસ.આર.સી. સમિતિ અને એન.એસ.એસ.ના ઉપક્રમે આયોજિત શિક્ષક દિનમાં ૨૧ વિદ્યાર્થી ભાઈ બહેનોએ આચાર્ય, ઉપાચાર્ય, અધ્યાપક તથા સેવક તરીકેની ભૂમિકા નિભાવી હતી અને આજના દિવસના અધ્યાપકોએ અંગ્રેજી, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર વિષયોનું ઉત્સાહપૂર્વક અધ્યાપન કરાવ્યું હતુ.
સેમ 6ના કુ. ચંદ્રિકા દરજીએ શિક્ષક દિનના આચાર્ય તરીકે, સેમ 6ના હિરેન બ્રાહ્મણે ઉપાચાર્ય તરીકે અને સેમ 3ના કુ.મીના ચૌધરી, કુ. મિતલ ચૌધરી, પ્રવિણ ચૌધરીએ સેવક તરીકે ભૂમિકા અદા કરી હતી. અધ્યાપન બાદ પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં કુ. ચેતના માળીએ ઉદ્ઘોષકની સુંદર કામગીરી નિભાવી હતી. આજે બનેલ અધ્યાપકો પૈકી અલ્પેશ સુથાર અને કુ. ખુશ્બુ મઢવીએ પ્રતિભાવમાં જણાવ્યું કે શિક્ષક બનવાનો આ અવસર જીવનનું અણમોલ સંભારણુ બની રહેશે.

શિક્ષક દિનમાં સુંદર અધ્યાપન કાર્ય બદલ પ્રથમ ક્રમે કુ. ચેતના માળી, દ્વિતિય ક્રમે કુ. પાયલ જોશી,
અને તૃતીય ક્રમે સંગીતા ચૌધરી વિજેતા થયા હતા. કોલેજના પ્રિ. ડો. જગદીશ એચ. પ્રજાપતિ, શિક્ષક દિવસના આચાર્ય કુ. ચંદ્રીકા દરજી અને પ્રો. ડો. રાજેશ મારુના હસ્તે વિજેતા તેમજ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રિ. ડો. જગદીશ એચ. પ્રજાપતિએ પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું કે સમાજમાં શિક્ષક પૂજનીય છે, તે વિધ્યાર્થીના જીવનને વિવિધ રંગોથી કલાત્મક રીતે સજાવી સર્વાંગી વિકાસ માટે નવા વિચાર અને નવી દિશા આપે છે. તમે આજે શિક્ષક બની વ્યક્તિ-સમાજ નિર્માણ માટે સજ્જ થયા છો તે તમારી પોતાની ટેલેન્ટ, રસ, કૌશલ્ય, સંવેદના અને પ્રતિબધ્ધતા દર્શાવે છે. તમે આવતી કાલનું ભારત છો, અર્જુન જેવા વિધ્યાર્થી અને શ્રીકૃષ્ણ જેવા માર્ગદર્શક બનવા આહવાન કર્યુ હતું. ચાણક્ય, સમર્થ રામદાસ, વિશ્વામિત્ર, સાન્દિપનિ જેવા ગુરુઓ ના ઉદાહરણોથી ગુરુ શિષ્ય પરંપરા વિષે અવગત કરી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. અધ્યાપિકા બનેલ કુ. સંગીતા ચૌધરીએ આભાર વિધિ કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન વિદ્યાર્થી પ્રતિનિધિ સમિતિ (SRC)ના સંયોજક પ્રો. રુદ્ર દવે અને પ્રો. દેવેન્દ્રભારતી બી. ગોસ્વામીએ કર્યું હતું. પ્રો. ડો. રાજેશ મારુ, પ્રો.અશોક દરજી, પ્રો. ડો. નિહાર નિમ્બાર્ક, પ્રો. રુદ્ર દવે, પ્રો. ડો. ગોવિંદ વારડેએ નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી.
