સમરસ કોવિડ કેર સેન્ટરના સ્ટાફની નિસ્વાર્થ સેવા અને અવિરત કામગીરીના પરિણામે દર્દીઓ ઝડપથી સાજા થાય છે- શ્યામજીભાઈ મકવાણા
કોરોનાના સંક્રમણ વચ્ચે સતત કાર્યરત કોરોના યોદ્ધાઓ નાગરિકોને સ્વસ્થ બનાવવા પોતાના જીવના જોખમે કાર્ય કરી રહ્યાં છે. ત્યારે સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર બાદ સાજા થઈ સ્વગૃહે પરત ફરેલા પિતા-પુત્રએ પોતાના અનુભવો વ્યક્ત કરી તમામ સ્ટાફનો આભાર માન્યો હતો. સમરસ કેર સેન્ટર ખાતે ૮ દિવસની સારવાર લીધા બાદ કોરોનાને મ્હાત આપનારા ગોંડલ તાલુકાના રીબડા ગામના રહેવાસી કિશોરભાઈ મકવાણાએ કહ્યું હતું કે, “મને કોઈ પ્રકારની તકલીફ નહોતી પરંતુ પિતાનો રીપોર્ટ પોઝિટિવ આવતાં પરિવારના તમામ સભ્યોના કોરોના રિપોર્ટ કરવા માટે મોવિયા આરોગ્ય વિભાગની ટીમ ઘરે આવી. અને ૪ તારીખે મારો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો. તેથી અમને બન્ને પિતા-પુત્રને સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા. અહીં ડોક્ટર્સ તેમજ અન્ય સ્ટાફની તનતોડ મહેનત જોઈને લાગ્યું કે સારું થયું અહીંયા આવી ગયા હવે અમે જલ્દી સાજા થઈ જઈશું. અને થયું પણ એવું જ. પી.પી.ઈ. કીટ પહેરેલાં ડોક્ટર્સ તમામ દર્દીને દિવસમાં ત્રણ વખત તપાસવા સમરસ સંકુલના ૯ માળમાં આખો દિવસ ઉપર નીચે ફરીફરીને પરસેવે તરબોળ થઈ જતા ત્યારે એ ડોક્ટર્સમાં અમને ઈશ્વરના દર્શન થતાં.” કિશોરભાઇ મકવાણાના પિતા શ્યામજીભાઇએ પોતાના અનુભવો જણાવતાં કહ્યું હતું કે, “બીજી તારીખે મેં સિવીલ હોસ્પિટલ ખાતે રીપોર્ટ કરાવ્યો જે પોઝિટિવ આવતાં સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે દાખલ થયો. કોરોનાના નામથી લોકો જેટલા ડરી રહ્યાં છે, તેટલો તે ભયાનક નથી, હિંમત અને મજબૂત મનોબળના સથવારે કોરોનાને પરાસ્ત કરી જ શકાય છે. અહીંના સ્ટાફની નિસ્વાર્થ સેવા અને અવિરત કામગીરીના પરિણામે દર્દીઓ ઝડપથી સાજા થાય છે. આ આરોગ્યકર્મીઓને અમારા સો સો સલામ…” (રિપોર્ટ-તુષાર પરીખ,રાજકોટ)

