ડેવિડ પટેલ મહેસાણા


સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર દ્વારા તારીખ ૧૭ અને ૧૮ ઓક્ટોબરના રોજ જગત જનની માં અંબેના શક્તિ ઉપાસના અને આરાધનાના મહાપર્વ નવરાત્રિ મહોત્સવ “થનગનાટ-૨૦૨૩” નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. રાસ-ગરબા મહોત્સવના પ્રથમ દિવસે યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના ૧૦૦૦૦થી વધુ વિદ્યાર્થી ખેલૈયાઓ, યુનિવર્સિટી પરિવાર તથા આમંત્રિત મહેમાનોએ પરંપરાગત વેશભૂષામાં ઢોલના તાલે મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી.

દર વર્ષે ઉજવાતા યુનિવર્સિટીના રાસ-ગરબા મહોત્સવ “થનગનાટ” નું સમગ્ર મહેસાણા જિલ્લામાં વિશેષ આકર્ષણ રહેલ છે. મહોત્સવના પ્રથમ દિવસે પ્રખ્યાત ગુજરાતી લોકગાયિકા ઋત્વી પંડયા અને તેમની સમગ્ર ટીમે પોતાના મધુર કોકિલ કંઠી સ્વરથી ઉપસ્થિત સર્વેને ગરબાના તાલે ઝૂમતા કરી દીધા હતા. વધુમાં યુવાધનમાં ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે ગ્રામ્ય સંસ્કૃતિને દર્શાવતું સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યો હતો, જે સર્વે માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેલ અને જેમાં લોકોએ પોતાની સેલ્ફી લઈને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતાં.

શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસથી ભરપુર રાસ-ગરબા મહોત્સવમાં પ્રથમ દિવસે મહેસાણા જીલ્લા સાંસદ સભ્ય શારદાબેન પટેલ, મહેસાણા જીલ્લા કલેક્ટરશ્રી એમ. નાગરાજન, મહેસાણા જીલ્લા એસ. પી. શ્રી અચલ ત્યાગી, વિસનગર નગરપાલિકા પ્રમુખશ્રી ઉત્તમભાઈ પટેલ, તાલુકાના સહકારી, સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.


યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલે આમંત્રિત સર્વે મહેમાનોનો આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા બદલ હ્રદયપૂર્વક આભાર માન્યો હતો. વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા હમેશા સમાજના યુવાધનમાં શિક્ષણની સાથે સાથે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
