
જામનગર ( ભરત ભોગાયતા)
ઇસ્લામ સંપ્રદાયના મોટા પીર હઝરત શેખ અબ્દુલ કાદિર જીલાની (ર.અ) ની અગિયારમી શરીફ નિમિત્તે સુન્ની મુસ્લિમ જમાત જામનગર દ્વારા એક ઝૂલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનેરા ઉત્સાહ-અદબ અને અકિદત અને ઉમંગ સાથે પસાર થયું હતું. જેમાં હજારો સુન્ની મુસ્લિમ બિરાદરોએ બારગાહે ગોષિયામાં ખિરાજ અકિદત પેશ કરી હતી. બપોર પછી ૪ કલાકે નારા-એ તકબીર, નારા ‘નારા-એ રિસાલત’ તથા ગૌષ કા દામન નહીં છોડેંગેના ઈમાન અફરોઝ નારાઓથી શરૃ થયેલ આ ઝૂલુસનું રસ્તામાં ઠેર-ઠેર ગરમ દૂધ-ચા, કોફી, બિસ્કીટ, ચોકલેટ, બટેટા, ચણા બટેટા, ભજીયા, હલવો તેમજ ઠંડુ પાણી વગેરે વિતરણ કરવામાં આવ્યું હતું.

જશ્ને ગૌષિયાના મોકા પર પ્યારા નબીરા પ્યારા રૃહાની ફરઝંદ હઝરત ગૌષે આઝમ પ્રત્યે પોતાની ખિરાજે અકિદત પેશ કરવા સુન્ની મુસ્લિમ આગેવાનો, કમિટીના કાર્યકર્તાઓ સામેલ હતાં. ઈસ્લામનો સૌથી મહત્ત્વપૂર્ણ દિવસો પૈકી ગૌષે આઝમ દસ્તગીરની અગ્યારમી શરીફના પવિત્ર તહેવાર નિમિત્તે બપોર પછી ૪ વાગ્યે શરૃ થયેલું આ ઝૂલુસ સાયરપીર ચોક, સઈના વંડાથી શરૃ થઈ હાજીપીર ચોક, ઘાંચીની ખડકી, ગઢની રાંગ, કાલાવડ ગેઈટ રોડ, પાંચ હાટડી, દરબારગઢ, જુમ્મા મસ્જીદ, ટાવર મસ્જીદ, ચાંદી બજારથી પુનઃ દરબારગઢ ચોકમાં મોડી સાંજે સમાપ્ત થયું હતું. જુલુસના સમાપન સમયે મૌલાના મુસ્તાકબાપુ બ્લોચ (હબીબી) તરફથી ગૌષે આઝમ દસ્તગીરની કરામતો અને તેમના પવિત્ર જીવન કાર્યોનું વર્ણન કર્યું હતું.

ઝૂલુસમાં જામનગર શહેરની સુન્ની મુસ્લિમ જમાતોમાં કુરેશી જમાત, ખાટકી જમાત, આશીકે-એ રઝા કમિટી, સુન્ની રઝવી કમિટી, એલાન-સી ગ્રુપ વગેરે ૦પ જમાતો અને કમિટીઓની મિલાદ પાર્ટીઓ દરૃદો સલામ અને મિલાદ શરીફ પઢતા-પઢતા ઝૂલુસમાં સામેલ થયા હતાં. આ ઝૂલુસમાં ઓટોરિક્ષા, છકડોરિક્ષા, ટ્રક ટોરસ, મોટરકારો, તથા મોટર સાયકલો તેમજ નાનામોટા ૪પ વાહનોને શણગારીને સામેલ કરવામાં આવ્યા હતાં. આ રીતે સુન્ની મુસ્લમાનોએ પોતાના વાહનોને શણગારી આ ઝૂલુસમાં સામેલ થયા હતાં.

ઝૂલુસ જે રસ્તાઓ પરથી પસાર થયું ત્યાં જશ્ને ગૌષિયાના બેનર અને કટઆઉટ લગાવવામાં આવ્યા હતાં. તેમજ લોકોએ અનેક પ્રકારની ન્યાજો તકસીમ કરી હતી. સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનો તથા ઉલ્માએ કિરામની સદાવતમાં શરૃ થયેલા ઝૂલુસમાં મસ્જીદોના ઈમામ સાહેબો બહોળી સંખ્યામાં સામેલ થયા હતાં. જેમાં મૌલાના મુસ્તાકબાપુ બ્લોચ, મૌલાના અબ્દુલ કાદર આરબ, સૈયદ ઈમ્તીયાઝબાપુ તેમજ સુન્ની જમાતના પ્રમુખ હાજી જુમાભાઈ ખફી, સેક્રેટરી મો. ઈકબાલ બેલીમ, જો. સેક્રેટરી હાજી મો. સિદિક કુરેશી, જો. સેક્રેટરી અશરફભાઈ ઘોરી, ખુરેશી જમાતના પ્રમુખ ઈકબાલભાઈ ખુરેશી, ખલીયા જમાતના પ્રમુખ હાજી અ. રજાક ખલીફા, તૂરીયા જમાતના પ્રમુખ દાઉદભાઈ તૂરીયા તેમજ એડવોકેટો યુસુફ કુરેશી, ઈશાક કુરેશી, સલીમભાઈ બ્લોચ તેમજ ડો. ઝાહિદ રાઠોડ, સફી હશન સંઘી, યુનુસભાઈ પેન્ટર, અમીનભાઈ ચોલા, આદમભાઈ નારેજા વગેરે આગેવાનો અને કાર્યકરો અને હજારો સુન્ની મુસ્લિમ બિરાદરો સામેલ થઈ ખિરાજે અકિદત પેશ કરી હતી. અંતમાં ઝૂલુસમાં સામેલ તમામ સુન્ની મુસ્લિમ બિરાદરોનો અને વ્યવસ્થા તંત્ર- પોલીસ તંત્રનો સુન્ની મુસ્લિમ જમાત તરફથી આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
